ગત વર્ષે કેનેડામાંથી એવા 22 હજાર વિદેશીઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી, જેઓ દેશ માટે જોખમી જણાયા હતા, જે એક નવો રેકોર્ડ છે. કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ, આવા કુલ 22,108 લોકોનો દેશનિકાલ કરાયો હતો. તે પૈકીના 1,010 લોકો રાષ્ટ્રીય સુરક્ષા, યુદ્ધ ગુનાઓ અથવા માનવાધિકાર ઉલ્લંઘન, આયોજિત ગુનાખોરી અને ગુનાઇત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. 2025ના પ્રથમ દસ મહિનામાં CBSA દ્વારા કુલ 18,785 વિદેશીઓમાંથી 2,831 ભારતીયોની હકાલપટ્ટી કરવામાં આવી હતી, જે 3,972 મેક્સિકનો પછી સૌથી મોટી સંખ્યામાં હતા. અત્યારે કુલ 29,542 વિદેશીઓમાંથી 6,515 ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવાની પ્રક્રિયા થઇ રહી છે. ગ્લોબલ ન્યૂઝના એક રીપોર્ટ મુજબ, દેશમાં ખંડણી માગવાની ઘટનાઓને કારણે કેટલાક ભારતીય નાગરિકોને કાઢવામાં આવી રહ્યા છે, જેના કારણે મોટાભાગે ટોરોન્ટો, વાનકુવર અને એડમોન્ટન અને કેલગરી શહેરોમાં ઇન્ડો-કેનેડિયન બિઝનેસીઝ અને લોકોને નુકસાન થયું છે.













