જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળોએ રવિવારે મોટી કાર્યવાહી હાથ ધરી પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ત્રણ આતંકવાદીને ઠાર કર્યા હતાં. સુરક્ષા દળોને જૈશેના કુખ્યાત કમાન્ડર સૈફુલ્લાહનો પણ સફાયો કરવામાં મોટી સફળતા મળી હતી. ત્રાશી-I ઓપરેશન હેઠળ સુરક્ષા દળોએ કરેલી કાર્યવાહી દરમિયાન દારૂગોળો અને બે AK-47 રાઈફલ જપ્ત કરાઈ હતી.
સુરક્ષા દળો સાથેના એકાઉન્ટરમાં આતંકવાદીઓ જે ઘરમાં છુપાયેલા હતાં, તેમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે તેમના મૃતદેહ ઓળખી ન શકાય તેટલી હદે બળીને ભળથુ થયાં હતાં. પ્રાથમિક અહેવાલ મુજબ મૃતકોમાં એક સૈફુલ્લાહ હતો, જે એક કુખ્યાત જૈશ-એ-મોહમ્મદ કમાન્ડર છે અને તેને પાંચ વર્ષ પહેલાં આ વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી અને સુરક્ષા દળો પરના અનેક ઘાતક હુમલાઓમાં સંડાવાયેલો હતો. સૈફુલ્લાહ ભૂતકાળમાં અનેક એન્કાઉન્ટરમાં પણ બચી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓના નાશ પામેલા ઠેકાણામાંથી સાંજે ત્રીજા આતંકવાદીનો મૃતદેહ હથિયાર સાથે મળી આવ્યો હતો.
અગાઉ નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માએ વ્હાઇટ નાઈટ કોર્પ્સના સૈનિકોની ઝડપી અને સચોટ કાર્યવાહી બદલ પ્રશંસા કરી હતી.
વ્હાઇટ નાઈટ કોર્પ્સે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પોલીસ, આઈબી (ઈન્ટેલિજન્સ બ્યુરો) અને પોતાના ગુપ્તચર સૂત્રો પાસેથી મળેલી વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે કિશ્તવાડ વિસ્તારમાં ઓપરેશન ત્રાશી-I હેઠળ સંયુક્ત ઓપરેશન શરૂ કરાયું હતું. આતંકવાદીઓ પહાડ પરના મકાનમાં છુપાયેલા હતાં અને સુરક્ષા દળો પર ફાયરિંગ ચાલુ કર્યું હતું અને તેનો સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો હતો. આ ફાયરિંગમાં મકાનમાં આગ લાગી અને તે બળીને ખાખ થઈ ગયું હતું. ઘટનાસ્થળેથી આતંકવાદીઓના બળી ગયેલા મૃતદેહો મળી આવ્યા હતાં.














