અમેરિકામાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)ના સિવિલ ફ્રોડ કેસમાં ભારતીય બિલિયોનેર ગૌતમ અદાણીને સાત એપ્રિલ 2026ના રોજ અમેરિકાની એક ફેડરલ કોર્ટમાં મોટી રાહત મળી હતી. ફેડરલ કોર્ટે આ ફ્રોડ કેસ રદ કરવા માટે સુનાવણી હાથ ધરવાની અદાણીની અરજીને મંજૂરી આપી હતી. આનાથી આ બહુચર્ચિત કેસમાં અદાણીનો એક મહત્ત્વનો કાનૂની વિજય થયો હતો.
કોર્ટમાં અદાણીના વકીલોએ દલીલ કરી હતી કે અદાણી ગ્રુપની કંપનીના બોન્ડનું ટ્રેડિંગ અમેરિકામાં થતું નથી, તેથી આ કેસ અમેરિકાની કોર્ટના અધિકારક્ષેત્ર હેઠળ આવતો નથી. વધુમાં કથિત લાંચ પણ અમેરિકાની બહાર આપવામાં આવેલી છે.
નવેમ્બર 2024માં SECએ આરોપ લગાવ્યો હતો કે ગૌતમ અદાણી, સાગર અદાણી અને બીજા લોકોએ ભારતમાં એનર્જી પ્રોજેક્ટ્સ મેળવવા માટે 2020થી 2024 દરમિયાન ભારતીય અધિકારીઓને આશરે $250 મિલિયનની લાંચ આપી હતી. વધુમાં અમેરિકાના રોકાણકારો અને બેન્કો પાસેથી ભંડોળ ઊભું કર્યા પછી પણ આ બાબત યુએસ રોકાણકારોથી છુપાવી હતી. અદાણી ગ્રુપે આ આરોપને નકારી કાઢ્યો હતો.
અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણીના વકીલોએ કેસ રદ કરવાની માંગ કરતી અરજી દાખલ કરેલી છે. ન્યૂયોર્કની ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે કોર્ટને ફરિયાદ રદ કરવાની અપેક્ષિત અરજી પર પ્રી-મોશન કોન્ફરન્સ બોલાવવાની વિનંતી કરતો પ્રતિવાદીઓનો પત્ર મળ્યો છે. કોર્ટ આ અરજીનો સ્વીકાર કરે છે અને પક્ષકારોને પ્રી-મોશન કોન્ફરન્સ શેડ્યૂલ કરવા માટે મંજૂરી અને આદેશ આપે છે.
અદાણીના વકીલોએ જણાવ્યું હતું કે કથિત લાંચને સમર્થન આપતા કોઈ વિશ્વસનીય પુરાવા નથી. SECને આ બંને સામે કાર્યવાહી કરવાનો કોઇ અધિકારક્ષેત્ર છે અને કેસને આધાર આપતા કથિત ખોટા નિવેદનોને કારણે પણ આ મામલો કાર્યવાહીપાત્ર બનતો નથી.
અદાણી ગ્રુપે તમામ આરોપોને નકારી કાઢીને કહ્યું હતું કે તેમની કોઈપણ કંપની અથવા એક્ઝિક્યુટિવ્સ પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો નથી અને ભંડોળ એકત્ર કરનારી કંપની અદાણી ગ્રીન એનર્જી કાર્યવાહીનો પક્ષકાર નથી. ગૌતમ અદાણી અદાણી ગ્રુપના અધ્યક્ષ છે, જ્યારે સાગર અદાણી અદાણી ગ્રીન એનર્જીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. ભારતમાં રહેતા પ્રતિવાદીઓને નોટિસ અપાઈ શકી ન હોવાથી આ મુકદ્દમો એક વર્ષથી વધુ સમયથી અટકી પડ્યો હતો.
બ્રુકલિન, ન્યુ યોર્ક કોર્ટે અપીલને મંજૂરી આપી હોવાથી હવે અદાણીને દલીલ કરી શકશે કે યુએસ નિયમનકારી સંસ્થા એસઇસીની ફરિયાદને પ્રારંભિક તબક્કે જ કાઢી નાખવી જોઈએ. વધુમાં અદાણીએ જણાવ્યું હતું કે બોન્ડના રોકાણકારોને કોઇ નુકસાન થયું હોવાનો પણ એસઇસીએ આરોપ મૂક્યો નથી અને બોન્ડની મુદત પૂરી થયા પછી 2024માં વ્યાજ સાથે સંપૂર્ણ રકમ રોકાણકારોને પરત કરાઈ હતી.














