વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટે મંગળવારે કેરળ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવાની રાજ્ય સરકારની દરખાસ્તને મંજૂરી આપી હતી. કેરળમાં એપ્રિલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યનુ નામ બદલવાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે.
દક્ષિણ ભારતના આ રાજ્યની વિધાનસભાએ અગાઉ 24 જૂન 2024ના રોજ રાજ્યનું નામ ‘કેરલમ’ રાખવા માટેનો ઠરાવ કર્યો હતો અને તે ઠરાવ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો હતો. વિધાનસભાના ઠરાવ પછી કેન્દ્રીય કેબિનેટે નામ બદલવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.
કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન ઇચ્છતા હતાં કે કેન્દ્ર સરકાર દક્ષિણ રાજ્યનું નામ કેરળથી બદલીને ‘કેરલમ’ કરે, જે બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ બધી ભાષાઓમાં હોય. ઠરાવ રજૂ કરતાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે રાજ્યને મલયાલમમાં ‘કેરળ’ કહેવામાં આવે છે અને રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામના સમયથી મલયાલમ ભાષી સમુદાયો માટે સંયુક્ત કેરળ બનાવવાની માંગ મજબૂત રીતે ઉભરી આવી હતી. બ્રિટિશ કાળમાં વહીવટી કારણોસર નામમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
આ દરખાસ્તને રાજકીય સમર્થન પણ મળ્યું હતું. જાન્યુઆરી 2026માં કેરળ બીજેપી અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરએ મુખ્યપ્રધાન પિનરાયી વિજયનને પત્ર લખીને આ નામ બદલવાનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આ મૂળ નામ પુનઃસ્થાપિત કરવું એ વારસાને માન આપવાનું અગત્યનું પગલું છે. બીજેપી અને એનડીએ હંમેશા કેરળમની પરંપરા, સંસ્કૃતિ અને શ્રદ્ધાના રક્ષણ માટે ઊભા રહ્યાં છે.













