(Photo by GIL COHEN-MAGEN/AFP via Getty Images)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતના ભાગરૂપે 25 ફેબ્રુઆરીએ ઇઝરાયેલ પહોંચે તેવી ધારણા છે. આ મુલાકાત દરમિયાન મોદી ઇઝરાયલી સંસદને સંબોધિત કરશે તથા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને પ્રેસિડન્ટ આઇઝેક હર્ઝોગ સાથે ઉચ્ચસ્તરીય બેઠકો યોજશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયેલની અપેક્ષિત મુલાકાત પહેલા ઇઝરાયેલના રાજકારણમાં આંતરિક વિવાદ ઊભો થયો છે. વિરોધ પક્ષના નેતા યાયર લેપિડે પરંપરા મુજબ જો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને આમંત્રણ ન આપવામાં આવે તો સંસદમાં મોદીના ભાષણનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.
વિપક્ષના નેતા લેપિડે માગણી કરી છે કે સંસદમાં મોદી સંબોધન કરે ત્યારે સુપ્રીમ કોર્ટના વડા યિત્ઝાક અમિતને પણ આમંત્રણ આપવામાં આવે. વિપક્ષના સૂત્રોએ જણાવ્યુ હતું કે આ બહિષ્કારની ચીમકી નથી, પરંતુ સરકાર સરકાર ઇરાદાપૂર્વક અમને આવી શરમજનક સ્થિતિમાં ઘકેલવા માગે છે. લેપિડે તાજેતરમાં જણાવ્યું હતું કે અમે ભારતીય દૂતાવાસ સાથે વાતચીત કરી છે. તેઓ આનાથી ચિંતિત છે. ભારતના વડાપ્રધાન મોદીને આવતા બુધવારે સંસદમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, જે આપણા તમામ માટે સન્માનની બાબત છે.
ઇઝરાયેલમાં ન્યાયિક સુધારાના મુદ્દે સત્તારૂઢ પક્ષ અને વિપક્ષ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલે છે. યિત્ઝાક અમિત જાન્યુઆરી 2024માં કોર્ટના વડા તરીકે ચૂંટાયા હતાં. પરંતુ ન્યાય પ્રધાન યારીવ લેવિને મુખ્ય ન્યાયાધીશ તરીકેની તેમની સત્તાને માન્યતા આપવાનો ઇનકાર કર્યો છે. સરકારી ગેઝેટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમનું નામ જાહેર પણ કરાયું નથી. તેનાથી યિત્ઝાક અમિતની  ઘણા સરકારી કાર્યક્રમોમાં બાદબાકી કરાઈ છે. અમેરિકાના પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વના બીજા દેશોએ સંસદને સંબોધન કર્યું ત્યારે પણ તેમને આમંત્રણ અપાયું ન હતું.
વિપક્ષી નેતા (LOP)ની આ ધમકીને પગલે સંસદના સ્પીકર  અમીર ઓહાનાએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષી નેતા રાજકીય લાભ મેળવવા માટે ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોને નુકસાન પહોંચાડી રહ્યાં છે. જો વિપક્ષના નેતા ઇઝરાયેલના મહત્ત્વના મિત્ર દેશ અને વિશ્વની એક અગ્રણી તાકાત સાથે સંબંધોને નુકસાન પહોંચાડવા માગતા હોય તો તે તેમની પસંદગી છે, પરંતુ તે દુર્ભાગ્યપૂર્ણ છે અને મને આશા છે કે તેઓ પોતાના નિર્ણયની ફેરવિચારણા કરશે.

LEAVE A REPLY