અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની માતા કોકિલાબેન અંબાણીએ મંગળવાર, 24 ફેબ્રુઆરી 2026ના રોજ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં તેમનો 92મો જન્મદિવસ ઉજવ્યો હતો.
અંબાણી પરિવારના સભ્યો સાંજે નાથદ્વારા પહોંચ્યાં હતાં અને શ્રીનાથજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પરિવારે ‘ભોગ આરતી’માં પણ ભાગ લીધો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે પરિવારે પુષ્ટિમાર્ગ સંપ્રદાયના મુખ્ય સ્થાનક શ્રીનાથજીની ‘હવેલી’ની પણ મુલાકાત લીધી હતી.
આ ઉજવણીમાં આકાશ અંબાણી, અનંત અંબાણી, શ્લોકા મહેતા અંબાણી, રાધિકા અંબાણી, અંશુલ અંબાણી, અનમોલ અંબાણી, નીના કોઠારી અને દીપ્તિ સલગાંવકર સહિતના પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. ઉદ્યોગપતિ ધનરાજ નથવાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં .ઉલ્લેખનીય છે કે કોકિલાબેન અંબાણી નાથદ્વારા મંદિર બોર્ડના ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે.
૨૪ ફેબ્રુઆરી ૧૯૩૪ના રોજ ગુજરાતના જામનગરમાં જન્મેલા કોકિલાબેન અંબાણી સમગ્ર પરિવારના મોભી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના પત્ની તરીકે જ નહીં, પરંતુ ઝડપથી બદલાતા યુગમાં પરિવારને માર્ગદર્શન અને ટેકો આપવામાં તેમની ભૂમિકા માટે પણ તેમનું સન્માન કરવામાં આવે છે.કોકિલાબેનને પરિવારને એકજૂથ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર માનવામાં આવે છે અને તેઓ સામાજિક સેવાના કાર્યોમાં સક્રિયપણે સામેલ રહે છે. મુંબઈ સ્થિત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલનું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.













