ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં શિષ્તભંગ બદલ આઈસીસીએ 15 ટકા મેચ ફીનો દંડ કર્યો છે અને તેના નામે એક ડીમેરિટ પોઈન્ટ પણ લગાવ્યો છે.
અર્શદીપને ન્યૂઝીલેન્ડની બેટિંગ વેળાએ, 11મી ઓવરમાં ડેરિલ મિચેલને રનાઉટ કરવાના દેખિતા પ્રયાસ દરમિયાન બેજવાબદાર રીતે બોલ ફેંકવા બદલ આઈસીસીની આચાર સંહિતાના આર્ટિકલ 2.9 હેઠળ દોષિત જાહેર કરાયો છે. આ નિયમ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન કોઈ ખેલાડી તરફ અથવા તેની નજીક બોલ કે ક્રિકેટના સાધનો અયોગ્ય કે જોખમી રીતે ફેંકવા સંબંધિત છે. અર્શદીપનું છેલ્લા 24 મહિના દરમિયાનનું આ પહેલું શિષ્ત ઉલ્લંઘન છે.
અર્શદીપે બોલિંગ દરમિયાન પિચ પર ફિલ્ડિંગ કરી, બોલ સીધો ન્યૂઝીલેન્ડના બેટર ડેરિલ મિશેલ તરફ ફેંક્યો હતો, જે તેના પગ પર વાગ્યો હતો. આ ઘટના પછી મેદાન પર ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. મિશેલે આ અંગે અમ્પાયરને ફરિયાદ કરી હતી અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે વચ્ચે પડીને મામલો શાંત પાડવો પડ્યો હતો. જો કે અર્શદીપે મેચ બાદ મિશેલની માફી માંગી લીધી હતી.
જો કોઈ ખેલાડીના ખાતામાં 24 મહિનાની અંદર 4 ડિમેરિટ પોઈન્ટ થાય, તો તેના પર એક ટેસ્ટ અથવા બે વ્હાઇટ-બોલ મેચનો પ્રતિબંધ લદાય છે.













