મીડલ ઇસ્ટના દેશોમાં વ્યાપેલ યુધ્ધ અને તે સંઘર્ષ સાથે જોડાયેલી વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા પર વધતી ચિંતાના પગલે બેંક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સર્વાનુમતે વ્યાજનો દર 3.75 ટકા સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. વધતા જતા એનર્જીના દરો આગામી મહિનાઓમાં ફુગાવાને વધુ ઉંચો કરી શકે છે.
ગવર્નર એન્ડ્રુ બેઈલી અને સાથી પોલીસીમેકર્સે આ વર્ષની શરૂઆતમાં વ્યાજના દરામાં ઘટાડો થાય તેવી અપેક્ષાઓ હોવા છતાં, સાવચેતીભર્યું પગલું ભરીને “રાહ જુઓ અને નજર રાખો”નો અભિગમ અપનાવ્યો હતો. ઈરાન સાથે વધતા તણાવને કારણે તેલ અને ગેસના ભાવમાં વધારો થયો છે અને કેટલાક અર્થશાસ્ત્રીઓએ જેને “ટ્રમ્પ-ફુગાવો” તરીકે ઓળખાવ્યો છે.
બેંકે ચેતવણી આપી હતી કે જ્યારે સ્થાનિક ફુગાવો ઓછો થઈ રહ્યો છે, ત્યારે ઊંચો વૈશ્વિક એનર્જી ખર્ચનો બાહ્ય આંચકો ટૂંકા ગાળામાં તે પ્રગતિને ઉલટાવી શકે છે. પરિણામે, ઘરોમાં બળતણ અને યુટલીટી બિલમાં વધારો થઈ શકે છે, જ્યારે બિઝનેસીસને પણ વધતા સંચાલન ખર્ચનો અનુભવ થઈ શકે છે.
તાજેતરના અઠવાડિયામાં મોરગેજના દરોમાં પહેલેથી જ તીવ્ર વધારો થયો છે અને લેન્ડર્સે સસ્તા ડીલ પાછા ખેંચી લીધા છે અને ઉધાર ખર્ચમાં વધારો થયો છે. વિશ્લેષકો કહે છે કે બેંકના આ પગલાથી મોરગેજના દરો અગાઉના અંદાજ કરતાં વધુ લાંબા સમય સુધી ઉંચા રહેશે, જેનાથી ઘરમાલિકો અને પહેલી વાર ઘર ખરીદનારાઓ પર દબાણ વધશે.
જોકે, બચત કરનારાઓ માટે કેટલાક સકારાત્મક સમાચાર છે અને તેમને વ્યાજ દર સ્થિર રહેવાથી ઊંચા વળતરનો લાભ મળી શકે છે. આ સમય ટેક્સ યરના અંત સાથે સુસંગત છે, જ્યારે ઘણા પરિવારો બચત અને વ્યક્તિગત બચત ખાતા (ISA)ના વિકલ્પોની સમીક્ષા કરે છે.
જો કે નાણાકીય બજારો હજુ પણ 2026ના અંતમાં, કદાચ સમરમાં, જો ફુગાવો સ્થિર થાય અને એનર્જીના ભાવમાં ઘટાડો થાય તો વ્યાજ દરોમાં ઘટાડો થવાની અપેક્ષા રાખે છે. અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે મધ્ય પૂર્વ સંઘર્ષ કેટલો સમય ચાલુ રહેશે અને ઓઇલ અને ગેસની વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ પર તેની અસર કેટલી હશે તેના પર ઘણું નિર્ભર છે.
MPC એ ભાર મૂક્યો કે જો ફુગાવો તેના 2 ટકાના લક્ષ્યથી વધુ દૂર જાય તો તે કાર્યવાહી કરવા તૈયાર છે.













