વિવિધ એરલાઇન કંપનીઓ જેવી કે, ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટે ફ્લાઇટમાં ઓછામાં ઓછા 60 ટકા બેઠકો પસંદ કરવા માટે કોઈ ચાર્જ ન લેવા અંગે સરકારના નિર્ણય સામે સખત વિરોધ નોંધાવ્યો છે. એરલાઇન્સની દલીલ છે કે, આ પગલાથી તેમની આવક પર અસર પડશે અને નુકસાનની ભરપાઈ કરવા માટે તેમને ટિકિટની કિંમત વધારવી પડી શકે છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સે (FIA) નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આ નિર્ણય પાછો ખેંચવા માટે પગલાં લેવા વિનંતી કરી છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે DGCAને સૂચના આપવામાં આવી છે કે, દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછા 60 ટકા બેઠકો મુસાફરોને મફતમાં પસંદ કરવાની સુવિધા આપવામાં આવે, કારણ કે છેલ્લા સમયથી જુદી જુદી એરલાઇન્સ સીટ પસંદગી સહિતની વિવિધ સેવાઓ માટે વધારે ચાર્જ વસૂલતી હોવાથી ચિંતા વધી રહી હતી. નાગરિક ઉડ્ડયન સચિવ સમીર કુમાર સિન્હાને લખેલા પત્રમાં FIAએ જણાવ્યું કે સરકારના આ નિર્દેશથી વિમાનન ક્ષેત્ર પર અનિચ્છનીય અને નકારાત્મક અસર પડશે. FIAએ કહ્યું હતું કે આ નિર્ણયથી એરલાઇન્સને મોટું આર્થિક નુકસાન થશે, જેને કારણે આવકમાં થયેલા ઘટાડાની ભરપાઈ માટે હવાઈ ભાડું વધારવું પડશે. પરિણામે, સીટ પસંદ કરનારા મુસાફરો જ નહીં, પરંતુ સીટ પસંદગી ન કરનારા મુસાફરોને પણ વધુ ભાડું ચૂકવવું પડશે.
સામાન્ય રીતે એરલાઇન્સ સીટ પસંદ કરવા માટે પ્રવાસીઓ પાસેથી રૂ. 200થી રૂ. 2100 સુધી ચાર્જ વસૂલે છે. આ ચાર્જ સીટની સ્થિતિ પર આધારિત હોય છે — જેમ કે આગળની સીટ કે વધારે પગ જગ્યા (એક્સ્ટ્રા લેગરૂમ) ધરાવતી સીટ. FIAએ વધુમાં જણાવ્યું કે પ્રથમ નજરે મુસાફરોને મફત સીટ પસંદગી લાભદાયક લાગશે, પરંતુ અંતે તેનું પરિણામ વિપરીત નીવડી શકે છે. હવાઈ ભાડું વધવાથી મુસાફરોના વિકલ્પો ઘટશે અને હવાઈ પ્રવાસ સામાન્ય લોકોની પહોંચથી બહાર થઈ શકે છે.













