ભારતના ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની પ્રત્યાર્પણ અપીલને ફરીથી ધ્યાનમાં લેવાની મંજૂરી માગતી અરજી પર લંડન હાઇકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. ભારત મોકલવામાંથી બચવા માટે નીરવ મોદીએ નવી દલીલ આગળ ધરી છે. તેણે કહ્યું છે કે ભારતમાં તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ દરમિયાન તેને પરેશાન કરાશે તેવું જોખમ છે. રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસમાં અપીલની સુનાવણી લોર્ડ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને જસ્ટિસ રોબર્ટ જે દ્વારા કરવામાં આવી હતી. 17 માર્ચના રોજ આખો દિવસ સુનાવણી પછી કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.

જસ્ટિસ સ્ટુઅર્ટ-સ્મિથે કહ્યું હતું કે સુનાવણી સમય પહેલાં પૂર્ણ થવા છતાં આ કેસ નીરવ મોદી અને ભારતમાંથી આવેલા અધિકારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને ઝડપથી ચુકાદો જાહેર કરાશે. 54 વર્ષીય નીરવ મોદી પર ભારતમાં લગભગ બે બિલિયન ડોલરના પંજાબ નેશનલ બેંક (PNB) લોન કૌભાંડમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપો હેઠળ કેસ ચાલી રહ્યો છે. નીરવ મોદીને નોર્થ લંડનની પેન્ટનવિલ જેલમાંથી વિડિયો લિંક દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.
નીરવના વકીલોએ સંજય ભંડારીના પ્રત્યાર્પણ કેસનો ઉલ્લેખ કર્યો. ભંડારી રક્ષા ક્ષેત્રના સલાહકાર છે, જેમણે ટેક્સ ચોરી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કર્યો હતો અને માનવાધિકારના આધારે ગયા વર્ષે તેમને પ્રત્યાર્પણમાંથી રાહત મળી હતી.
કોર્ટમાં નીરવ મોદીના બેરિસ્ટર એડવર્ડ ફિટ્ઝજરાલ્ડ કેસી એ દલીલ કરી હતી કે, જો નીરવ મોદીને ભારત મોકલાશે તો પૂછપરછ દરમિયાન અમાનવીય અથવા અપમાનજનક વર્તન કે યાતનાનું જોખમ છે. તેમણે ભારત સરકારે આપેલાં આશ્વાસનોને અપૂરતાં અને અવિશ્વસનીય દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ નીરવ મોદીને મુંબઈની આર્થર રોડ જેલમાંથી ગુજરાત લઈ જઈને CBI અને ED ઉપરાંત અન્ય એજન્સીઓ દ્વારા પૂછપરછ થઈ શકે છે.