(Photo by Pascal Le Segretain/Getty Images)

આદિત્ય ધારની ફિલ્મ ‘ધુરંધર: ધ રીવેન્જ’ દેશ-વિદેશમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ સ્પાય થ્રિલર ફિલ્મ કમાણીમાં નવા નવા રેકોર્ડ તોડી રહી છે. ભારતમાં આ ફિલ્મે પ્રથમ ચાર દિવસમાં ડોમેસ્ટિક માર્કેટમાં રૂ.400 કરોડ અને વર્લવાઇડ કમાણી રૂ.700 કરોડને વટાવી ગઈ હતી.

આ ફિલ્મ ઉત્તર અમેરિકા (યુએસએ અને કેનેડા)માં અસાધારણ પ્રતિસાદ મળ્યો છે. આ બંને દેશોમાં 4,405 શો યોજાઈ રહ્યાં છે. જે ભારતીય ફિલ્મ માટે સૌથી વધુ છે. યુકેમાં પણ તમામ શોર હાઉસફૂલ જઈ રહ્યાં છે. X પર વાયરલ થયેલી એક પોસ્ટમાં જણાવાયું છે કે ફક્ત બેલફાસ્ટ શહેરમાં જ ફિલ્મના એક જ દિવસમાં સાત હાઉસફુલ શો થયા હતાં.
આદિત્ય ધાર દ્વારા લખાયેલ, દિગ્દર્શિત અને નિર્મિત આ ફિલ્મમાં રણવીર સિંહ ભારતીય જાસૂસ હમઝા અલી મજારીની ભૂમિકામાં છે, જે પાકિસ્તાનના ગુનાહિત-આતંકવાદી નેટવર્કમાં ઘૂસણખોરી કરે છે. આ ફિલ્મમાં આર. માધવન, સંજય દત્ત, અર્જુન રામપાલ, રાકેશ બેદી, દાનિશ પાંડોર અને સારા અર્જુન પણ છે.

ભારતે ફિલ્મે એક રાજકીય વિવાદને જન્મ આપ્યો હતો. ફિલ્મમાં સમાજવાદી પાર્ટી (સપા)ના પૂર્વ સાંસદ અને બાહુબલી નેતા અતિક અહેમદને મળતું પાત્ર આતિફ અહેમદ ફિલ્મમાં દર્શાવાયું છે. ફિલ્મ અનુસાર આતિફ અહેમદના તાર પાકિસ્તાનના ISI તથા લશ્કર એ તૈયબા સાથે જોડાયેલા હતાં. ફિલ્મમાં દર્શાવ્યાનુસાર પાકિસ્તાન સાથે જોડાયેલા તારથી તે ભારતમાં બનાવટી ચલણી નોટના સપ્લાયમાં સામેલ હતો.

સમાજવાદી પાર્ટીના નેતા એસટી હસને આ મામલે દાવો કરતા જણાવ્યું હતું કે ફિલ્મની કમાણી વધારવા માટે ઈરાદાપૂર્વક નિર્માતાએ આવું કર્યું છે. આ ફિલ્મના માધ્યમથી સમાજમાં નરફત ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
AIMIMના નેતા વારિસ પઠાણે જણાવ્યું હતું કે મુસ્લિમોને બદનામ કરવા માટે ‘ધુરંધર-2’ બનાવી છે. આ પ્રકારની ફિલ્મ માત્ર એક પ્રોપગન્ડા છે, જેથી દેશમાં આ પ્રકારની નફરત ફેલાવી શકાય. આ પહેલા ઘણી એજન્ડા આધારિત ફિલ્મ બની ચૂકી છે. આવી ફિલ્મ બનાવીને તેઓ માત્ર પૈસા કમાવા માગે છે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મની જેટલી ટીકા કરો એટલી ઓછી છે.આવી ફિલ્મ રસ્તા પર લોકોને ગોળી મારવા માટે વેગ આપે છે.