પાકિસ્તાન સુપર લીગ (PSL)ની ૨૦૨૬ની સીઝન શરૂ થાય તે પહેલા જ વિવાદો અને ભયના ઓથાર હેઠળ આવી ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની જાહેરાતો પછી એક ત્રાસવાદી જૂથે વિદેશી ખેલાડીઓને ધમકી આપતાં એવું લાગે છે કે, કરકસરના પગલાંના ઓઠા હેઠળ પડદા પાછળની વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાની શક્યતા છે.
પાકિસ્તાનના સશસ્ત્ર ત્રાસવાદી જૂથ ‘જમાત-ઉલ-અહરારે’ એક જાહેર નિવેદનમાં વિદેશી ખેલાડીઓને ગંભીર ધમકી આપી છે.
આ જૂથે ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને ડેરીલ મિશેલ જેવા દિગ્ગજ ખેલાડીઓને આ ટુર્નામેન્ટમાંથી તાત્કાલિક ખસી જવા અથવા ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું છે. આ સશસ્ત્ર જૂથે સ્પષ્ટ શબ્દોમાં અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન આવશે, તો તેમની સુરક્ષાની કોઈ ગેરંટી રહેશે નહીં.
“અમે મેચો થવા દઈશું નહીં” જૂથના એક કમાન્ડરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ક્રિકેટની રમત વિરુદ્ધ નથી, પરંતુ પાકિસ્તાનની વર્તમાન સુરક્ષા સ્થિતિ આટલી હાઈ-પ્રોફાઈલ ટુર્નામેન્ટ માટે અનુકૂળ નથી. તેમણે સંબંધિત ક્રિકેટ બોર્ડને પણ વિનંતી કરી છે કે તેઓ પોતાના ખેલાડીઓને પાકિસ્તાન મોકલે નહીં.













