Dhaka, Bangladesh, April 6, 2026. REUTERS/Mohammad Ponir Hossain

મધ્ય પૂર્વમાં સંઘર્ષના કારણે વૈશ્વિક ઈંધણ બજારમાં અવરોધ ઊભો થતાં બાંગ્લાદેશે ઊર્જા વપરાશ ઘટાડવા માટે નવા પગલાં લીધા હતાં. આ હેઠળ ઓફિસ સમય ઘટાડવામાં આવ્યો છે અને જાહેર ખર્ચમાં પણ કાપ મૂકાયો છે.

અધિકારીઓએ જણાવ્યું કે કેબિનેટે મંજૂર કરેલા આ પગલાંનો હેતુ ઊર્જા સ્થિતિને સ્થિર બનાવવાનો છે. બાંગ્લાદેશ ઈંધણની આયાત પર નિર્ભર છે અને ઇરાન યુદ્ધને કારણે ભાવમાં ઉથલપાથલ અને સપ્લાયમાં અનિશ્ચિતતા વધી છે.
નવી નિયમાવલિ મુજબ સરકારી કચેરીઓ હવે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જ ચાલુ રહેશે, જ્યારે બજારો અને શોપિંગ સેન્ટરોને વીજળી બચાવવા માટે સાંજે 6 વાગ્યે બંધ કરવાનું રહેશે.

સરકારે બિનજરૂરી જાહેર ખર્ચમાં ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે અને ઉદ્યોગોને પણ વીજળીનો ઓછો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. શિક્ષણ મંત્રાલય રવિવારથી શાળાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરશે, જેમાં સમયપત્રકમાં ફેરફાર કરવો અથવા ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની શક્યતાઓ પર વિચારણા કરવામાં આવી રહી છે. સત્તાવાળાઓ શાળાઓ માટે ઇલેક્ટ્રિક બસના ડ્યૂટી-ફ્રી આયાતને પણ મંજૂરી આપશે અને તેમાં ભાગ લેનારાઓને પ્રોત્સાહન આપશે.

બાંગ્લાદેશે ઈંધણની અછત દૂર કરવા માટે રેશનિંગ શરૂ કર્યું છે. વાહન વેચાણ પર મર્યાદા, પેટ્રોલ પંપના સમય ઘટાડવા જેવા પગલાં લેવામાં આવ્યા છે. લગભગ 17.5 કરોડની વસ્તી ધરાવતા બાંગ્લાદેશમાં સરકારી એજન્સીઓ ઊર્જા પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પ્રયત્ન કરી રહી છે અને વૈકલ્પિક સ્ત્રોતોની શોધખોળ કરી રહી છે.