ઓક્સફર્ડ યુનિવર્સિટીની વિશ્વપ્રસિદ્ધ બોડલીયન લાયબ્રેરી દ્વારા હિન્દુ ધર્મના અત્યંત મહત્વના અને દુર્લભ ગણાતા પવિત્ર ગ્રંથ ‘શિક્ષાપત્રી’ની 200મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર યુકેના વિવિધ શહેરોના સ્વામિનારાયણ મંદિરોની એક ઐતિહાસિક પ્રવાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તા. 13 મેથી તા. 18 મે દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિર સ્ટેનમોર અને તે પછી તા. 20 ઓગસ્ટથી તા. 25 ઓગસ્ટ દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી ખાતે સૌ શિક્ષાપત્રીના દર્શન કરી શકશે.


સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ભગવાન સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામી દ્વારા વર્ષ 1826માં ગુજરાતના વડતાલ ખાતે ‘શિક્ષાપત્રી’ની રચના કરવામાં આવી હતી. 212 સંસ્કૃત શ્લોકો ધરાવતો આ ગ્રંથ નૈતિક, આચારસંહિતા અને આધ્યાત્મિક જીવન જીવવા માટેની એક અદભૂત માર્ગદર્શિકા છે. આ પવિત્ર ગ્રંથમાં અહિંસા, શાકાહાર, પ્રામાણિકતા અને સદાચાર જેવા પાયાના સિદ્ધાંતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે આજે પણ લાખો અનુયાયીઓના દૈનિક જીવનનો હિસ્સો છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર 26 ફેબ્રુઆરી, 1830ના રોજ સહજાનંદ સ્વામીએ પોતે આ નકલ તત્કાલીન બોમ્બેના ગવર્નર સર જોન માલ્કમને ભેટ આપી હતી. ત્યારથી આ દુર્લભ હસ્તપ્રત બોડલીયન લાયબ્રેરીના સંગ્રહમાં સુરક્ષિત રાખવામાં આવી છે. બોડલીયનના એશિયન કલેક્શનના કીપર ગિલિયન એવિસને જણાવ્યું હતું કે શિક્ષાપત્રીનો આ ઐતિહાસિક પ્રવાસ આગામી ઓગસ્ટ માસ સુધી ચાલશે, જેમાં લંડન અને વેલ્સના વિવિધ સ્વામિનારાયણ મંદિરોને આવરી લેવામાં આવ્યા હતા.
શ્રી સ્વામિનારાયણ મંદિર વૂલીચ, શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર કેન્ટન, શ્રી સ્વામિનારાયણ મંદિર કાર્ડિફ, શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ઇસ્ટ લંડન અને શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન ખાતે જ્યારે આ શિક્ષાપત્રી લાવવામાં આવી ત્યારે હરિભક્તો દ્વારા પુષ્પવર્ષા અને આરતી સાથે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ટૂર દરમિયાન અંદાજે 30 હજાર લોકોએ પવિત્ર ગ્રંથના દર્શન કર્યા હતા. સામાન્ય રીતે ઓક્સફોર્ડની વેસ્ટન લાયબ્રેરીમાં પ્રદર્શન માટે આ ગ્રંથ રાખવામાં આવે છે.













