ANI Photo)

ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કેમ્પબેલ વિલ્સને પદ પરથી રાજીનામું આપ્યું હોવાનું સૂત્રોને ટાંકીને મંગળવાર, 7 એપ્રિલે મીડિયા રીપોર્ટમાં જણાવાયું હતુ. જુલાઈ 2022માં વિલ્સનને એર ઇન્ડિયાના CEO અને MD તરીકે નિયુક્ત કરાયા હતાં અને તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ 2027માં પૂરો થવાનો હતો. ટાટા ગ્રુપે જાન્યુઆરી 2022માં સરકાર પાસેથી એર ઇન્ડિયા હસ્તગત કરી હતી.

આ ઘટનાક્રમથી વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું વિલ્સને રાજીનામું આપવાની કંપનીના બોર્ડ સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી હતી અને રાજીનામું આપી દીધું છે. ગયા અઠવાડિયે બોર્ડ મીટિંગમાં વિલ્સનનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. જ્યાં સુધી બોર્ડ તેમના અનુગામી શોધે નહીં ત્યાં સુધી તેઓ પોતાની ફરજ બજાવશે.

આ ઘટનાક્રમ પર એર ઇન્ડિયાની તાકીદે કોઇ પ્રતિક્રિયા મળી શકી ન હતી.

આ વર્ષની શરૂઆતમાં એક સૂત્રે જણાવ્યું હતું કે ટાટા ગ્રુપ એર ઇન્ડિયાના વડા તરીકે યોગ્ય ઉમેદવારની શોધ કરી રહ્યું છે, કારણ કે વિલ્સનનો એરલાઇનમાં પાંચ વર્ષનો કાર્યકાળ 2027માં સમાપ્ત થવાનો હતો.

એર ઇન્ડિયાની લો કોસ્ટ પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસમાં પણ આ વર્ષે 19 માર્ચથી કોઈ વડા નથી, કારણ કે એરલાઇનમાં 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર આલોક સિંઘે એરલાઇનમાંથી રાજીનામું આપ્યું હતું.

ગયા વર્ષે 12 જૂને અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી એરલાઇનની લંડન જતી ફ્લાઇટ ક્રેશ થયા બાદ બોઇંગ ૭૮૭-૮ વિમાનમાં સવાર ૨૪૨ મુસાફરોમાંથી ૨૪૧ લોકોના મોત થયા બાદ વિલ્સન ટીકાનો સામનો કરી રહ્યા છે.