
નોર્થ વેસ્ટ લંડનના હેરો ખાતે આવેલા ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર યુકે દ્વારા હનુમાન જન્મોત્સવની ઉજવણી એક અનોખા આધ્યાત્મિક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી જેમાં 108 હનુમાન ચાલીસાના પાઠ કરાયા હતા.
2 એપ્રિલના રોજ, બપોરે 12 વાગ્યાથી સાંજે 7-30 સુધી યોજાયેલા આ જાપનું નેતૃત્વ પ. પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીએ કર્યું હતું. તેમણે સિદ્ધાશ્રમની સંગીત ટીમ સાથે વિવિધ શાસ્ત્રીય રાગોમાં હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું અને સેંકડો ભક્તો તેમાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં બાળકોએ પણ ભાગ લીધો હતો, જેમાંથી ઘણાએ વાંચ્યા વગર ચાલીસાના પાઠ કરી ઉપસ્થિત સૌની પ્રશંસા મેળવી હતી.
ઓફિસર એલેક્સ રોસની આગેવાની હેઠળ મેટ્રોપોલિટન પોલીસ ટીમે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પ્રતીકાત્મક સમાપનમાં, ગુરુજીના માર્ગદર્શન હેઠળ ભક્તોએ તેમના મોબાઇલ ફોનની લાઇટ પ્રગટાવી ભગવાન હનુમાનજીની સામૂહિક પ્રાર્થના કરી હતી. પાઠ દરમિયાન અને પછી લાડવા અને ફૂલોની પાંખડીઓનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.
યુકેભરમાંથી કાઉન્સિલરો, ભૂતપૂર્વ મેયર, પોર્ટફોલિયો ધારકો અને મહાનુભાવો હાજર રહ્યા હતા.















