ભારતે 2028માં સંયુક્ત રાષ્ટ્રના વાર્ષિક ક્લાઇમેટ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP33)નું આયોજન કરવાની પોતાની ઓફર પાછી ખેંચી લીધી છે. સરકારે આ માટે કોઇ સત્તાવાર કારણ પણ આપ્યું હતું. સામાન્ય રીતે COP સંમેલનના સ્થળ બે વર્ષ અગાઉથી નક્કી કરવામાં આવે છે.
2023માં દુબઈ ખાતે યોજાયેલ COP28 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આંતરરાષ્ટ્રીય મંચ પરથી ઓફર કરી હતી કે ભારત 2028માં COP33ની યજમાની કરવા ઈચ્છે છે. તે સમયે મોદીએ આબોહવા પરિવર્તન સામેની વૈશ્વિક લડાઈમાં ભારતની વધતી જતી ભૂમિકા અને નેતૃત્વ પર ભાર મૂકયો હતો.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે આ બાબતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. ભારત આ આયોજન માટે ખૂબ જ ગંભીર હતું અને જુલાઈ 2025માં મંત્રાલય દ્વારા ખાસ ‘COP33 સેલ’ની રચના પણ કરવામાં આવી હતી, જેથી વર્ષ 2028ના શિખર સંમેલન માટે તમામ સાધન-સામગ્રી અને વ્યૂહનીતિ તૈયાર કરી શકાય.
નીતિ આયોગના ભૂતપૂર્વ સીઈઓ અમિતાભ કાંતે X પરની એક પોસ્ટમાં ભારતના નિર્ણયને “સમજદાર પગલું” ગણાવીને જણાવ્યું હતું કે વિકસિત દેશોએ પેરિસમાં COP21માં આપેલા કોઈપણ વચનોનું પાલન કર્યું નથી. COPs પર અશ્મિભૂત ઇંધણ લોબીસ્ટનો કબજો છે
COP સંયુક્ત રાષ્ટ્ર હેઠળ યોજાતું વિશ્વનું સૌથી મોટું પર્યાવરણીય વાર્ષિક સંમેલન છે. આ મંચ પર વિશ્વના દેશો ભેગા મળીને આબોહવા પરિવર્તન સામે લડવા માટેના લક્ષ્યાંકો અને નીતિઓ પર ચર્ચા કરે છે.













