
ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર કરારની મંત્રણાને આગળ ધપાવવા માટે ભારતનું વેપાર પ્રતિનિધિમંડળ આ મહિને વોશિંગ્ટનની મુલાકાત લેશે. અમેેરિકાએ પુષ્ટી કરી હતી કે તે આ મહિનાના અંતમાં વોશિંગ્ટનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવા તૈયાર છે
હાલમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધોને મજબૂત બનાવવા માટેનો નવેસરથી પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે આ મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે.
અમેરિકી રાજદૂત સર્જિયો ગોર અને યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જેમીસન ગ્રીર વચ્ચેની ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠક અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં ગોરે જણાવ્યું કે એમ્બેસેડર ગ્રીર સાથે દક્ષિણ અને મધ્ય એશિયામાં અમેરિકાની વેપાર પ્રાથમિકતાઓને આગળ વધારવા માટે ખૂબ જ ફળદાયી બેઠક કરી હતી. અમેરિકા અને ભારત અગાઉથી જ એક વેપાર કરાર પર સહમત થઈ ચૂક્યા છે અને અમે આ મહિનાના અંતમાં વોશિંગ્ટનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવા આતુર છીએ.
આ રાજનૈતિક હલચલ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીની ત્રણ દિવસીય સત્તાવાર અમેરિકી મુલાકાત સાથે જોડાયેલી છે. તેમની મુલાકાત દરમિયાન, વિદેશ સચિવ વેપાર, રક્ષા અને મહત્વપૂર્ણ ટેક્નોલોજી સહિતના દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.
વિદેશ મંત્રાલય (MEA)ના જણાવ્યા અનુસાર આ મુલાકાતનો મુખ્ય હેતુ વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવાનો છે. MEAએ જણાવ્યુ કે આ મુલાકાત ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરવા અને મુખ્ય ક્ષેત્રોમાં ચાલુ સહકારને આગળ વધારવાની તક પૂરી પાડશે. ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું કે વિદેશ સચિવની હાજરી અમારા અમેરિકન ભાગીદારો સાથે ભારત-અમેરિકા ભાગીદારીના સમગ્ર વ્યાપની સમીક્ષા કરવાની તક આપે છે.
ક્વાત્રાએ વધુમાં જણાવ્યું કે આ મુલાકાત વેપાર, રક્ષા, ટેક્નોલોજી સહિત દ્વિપક્ષીય એજન્ડાના મુખ્ય સ્તંભોમાં ચર્ચાઓ આગળ વધારવા અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક વિકાસ અંગે દૃષ્ટિકોણ વહેંચવા માટે ઉપયોગી રહેશે.
આ ચર્ચાઓ વૈશ્વિક રાજકીય પરિસ્થિતિમાં ફેરફાર વચ્ચે થઈ રહી છે, ખાસ કરીને ત્યારે જ્યારે અમેરિકા અને ઇરાન વચ્ચે શરતી 14 દિવસના યુદ્ધવિરામ પર સહમતિ થઈ છે.
આ કરારમાં હોર્મુઝ જળસંધિ ફરીથી ખોલવાની જોગવાઈ પણ સામેલ છે, જે આંતરરાષ્ટ્રીય શિપિંગ અને ઊર્જા બજારો પર મહત્વપૂર્ણ અસર કરશે..
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારનું માળખુ નક્કી થયું છે અને તેના અમલ અંગે હજુ કોઇ સત્તાવાર જાહેરાત થઈ નથી.
બંને દેશોએ ફેબ્રુઆરીમાં વેપાર કરારના પ્રથમ તબક્કાના ફ્રેમવર્કને અંતિમ સ્વરૂપ આપ્યું હોવાનું જાહેર કર્યું હતું, તે દસ્તાવેજ પર હજી સહી થયેલો નથી, જેના કારણે આવનારી પ્રતિનિધિમંડળની મુલાકાત ઔપચારિક સમાપ્તી તરફનું મહત્વપૂર્ણ પગલું બની શકે છે.
MEAએ જણાવ્યું કે વિદેશ સચિવની આ મુલાકાત ફેબ્રુઆરીમાં વિદેશ મંત્રી એસ. જયશંકરની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન સ્થાપિત ગતિને આગળ વધારતી છે, જે બંને વ્યૂહાત્મક ભાગીદારો વચ્ચે સતત ઉચ્ચસ્તરીય સંવાદને દર્શાવે છે.














