ગુજરાતમાં 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોએ ભારે દોડધામ મચાવી હતી. રાજ્યમાં ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે સ્પર્ધા થવાની ધારણા છે.
રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતો, 84 નગરપાલિકાઓની 26 એપ્રિલે ચૂંટણી યોજવાની છે. સ્થાનિક સ્વરાજની કુલ ૯,૯૯૨ બેઠકો માટે કુલ 32,748થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. બીજી તરફ 70 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ રહ્યાં હતાં.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ ઉમેદવારીપત્રોની ચકાસણી ૧૩ એપ્રિલે થશે અને ઉમેદવારો ૧૫ એપ્રિલ સુધી પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકશે. આ ચૂંટણીનું પરિણામ 28 એપ્રિલે જાહેર થશે.
છેલ્લી ઘડીએ પાર્ટીનો મેન્ડેડ મેળવનારા ઘણા ઉમેદવારોએ શનિવારે ઉતાવળ કરીને પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતાં. બીજી તરફ ટિકિટ નકારવામાં આવેલા કેટલાંક ઉમેદવારોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો.
ભાજપ, કોંગ્રેસ અને AAP ઉપરાંત, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તેમજ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પણ ચૂંટણી મેદાનમાં છે, જેના કારણે ઘણી જગ્યાએ બહુકોણીય સ્પર્ધા થશે.
ગુજરાત-કેડરના ભૂતપૂર્વ IPS અધિકારી એમ એલ નિનામા, ભૂતપૂર્વ રેડિયો જોકી આભા દેસાઈ અને ભૂતપૂર્વ AAP ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી પણ ચૂંટણીના મેદાનમાં છે. તાજેતરમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ભાજપમાં જોડાયેલા નિનામાને અરવલ્લી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે શામળાજી તાલુકાની ઓઢ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
૨૦૨૪માં વિસાવદરથી AAP ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ભૂપેન્દ્ર ભાયાણીને શાસક પક્ષે જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેંસણ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર ૧૦માંથી કોંગ્રેસે ‘આરજે આભા’ તરીકે જાણીતા આભા દેસાઈને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
રાજ્ય ચૂંટણી કમિશનર એસ મુરલી કૃષ્ણાએ જણાવ્યું હતું કે ૯,૯૯૨ બેઠકો પર ૪.૧૮ કરોડથી વધુ લાયક મતદારો છે. રાજ્યમાં અન્ય પછાત વર્ગ (OBC) માટે અનામતની જોગવાઈ સાથે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે.














