REUTERS/Richardson Ulysse

હૈતીના ઐતિહાસિક સિટાડેલ લાફેરિયરમાં વાર્ષિક ઉજવણી દરમિયાન 12 એપ્રિલે મચેલી  ભાગદોડમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હતાં. અધિકારીઓએ મૃત્યુઆંકમાં વધારો થવાની પણ આશંકા વ્યક્ત કરી હતી. ભીડ અને વરસાદ બંનેને કારણે સ્થિતિ ઝડપથી ખરાબ થઈ હતી. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવતા આ કિલ્લામાં વાર્ષિક ઉજવણી માટે ભારે ભીડ ભેગી થઈ હતી અને તેની સાથે વરસાદ પણ પડ્યો હતો.

હૈતીના નોર્ડ વિભાગના નાગરિક સુરક્ષા વડા જીન હેનરી પેટિટે જણાવ્યું હતું કે શનિવારે સિટાડેલ લાફેરિયરમાં ભાગદોડ મચી હતી. 19મી સદીની શરૂઆતમાં હૈતીને ફ્રાન્સથી આઝાદી મળ્યા પછી આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો. હૈતીના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાં સ્થાન ધરાવતા લા સિટાડેલમાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ વાર્ષિક ઉજવણી માટે એકઠા થયા હતાં. 1982માં સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)એ તેને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કર્યો હતો.

હૈતીના વડાપ્રધાન એલિક્સ ડિડિયર ફિલ્સ-એમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે તથા શોક અને ભારે દુઃખના આ સમયમાં તેમને સંપૂર્ણ સમર્થનની ખાતરી આપે છે. લા સિટાડેલના સમારોહમાં ઘણા યુવાનો હાજર હતાં, જોકે વડાપ્રધાનના નિવેદનમાં મૃત્યુઆંકનો અંદાજ આપવામાં આવ્યો ન હતો.