ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચેની ટી-20 સીરિઝની બુધવાર, 17 નવેમ્બરે જયપુરમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને શાનદાર જીત હાંસલ કરી હતી. (ANI Photo)

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચેની ટી-20 સીરિઝની બુધવાર, 17 નવેમ્બરે જયપુરમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને શાનદાર જીત હાંસલ કરી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ન્યૂઝીલેન્ડ ટીમે ભારતને 164નો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે 19.4 ઓવરમાં 166 રન બનાવીને ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવ્યો હતો.

ન્યૂઝીલેન્ડ ટીમના ઓપનર માર્ટિન ગુપ્તિલે 42 બોલમાં 70 રનોની જ્યારે ચેપમેન 50 બોલમાં 63 રનોની શાનદાર ઈનિંગ્સ રમી હતી. જ્યારે અન્ય ખેલાડીઓ સારો સ્કોર કરી શક્યા ન હતા. ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી અશ્વિન અને ભુવનેશ્વરે 2-2 વિકેટ ઝડપી હતી. 164 રનોનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્માએ 48 રન જ્યારે સૂર્યકુમાર યાદવે 40 બોલમાં શાનદાર 62 રનોની ઈનિંગ્સ રમી હતી.

164 રનોનો પીછો કરવા ઉતરેલી ભારતની ટીમની શરૂઆત પણ એકંદરે સારી રહી ન હતી. ઓપનર કેએલ રાહુલ 14 બોલમાં 15 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જો કે, ત્યારબાદ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની જોડીએ ન્યૂઝીલેન્ડ સામે ધમકેદાર બેટિંગ કરી હતી. રોહિત શર્માએ 36 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે 40 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શ્રેયસ ઐય્યર 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે ઋષભ પંત પણ ફક્ત 17 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે 2 વિકેટ ઝડપી હતી.

ટોસ હાર્યાં બાદ પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની ખરાબ શરૂઆત થઈ હતી. ભુવનેશ્વર કુમારે પ્રથમ ઓવરમાં જ ઓપનર ડેરેલ મિશેલને પેવેલિયન પરત મોકલ્યો હતો. જો કે, ઓપનર માર્ટિન ગુપ્તિલ અને ચેપમેનની જોડીએ ભારતીય બોલર્સ સામે આક્રમક બેટિંગ કરી હતી. ગુપ્તિલે 42 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 70 રન બનાવ્યા હતા. જ્યારે ચેપમેને 50 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા હતા. જો કે, ત્યારબાદ ન્યૂઝીલેન્ડનો એકપણ બેટ્સમેન સારો સ્કોર કરી શક્યો ન હતો. ગ્લેન ફિલિપ્સ 0 રન, સીફર્ટ 12 રન, રચિન રવીન્દ્ર 7 રન બનાવીને આઉટ થઈ હતો. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને આર.અશ્વિને 2-2 વિકેટ ઝડપી હતી