અફઘાનિસ્તાનમાં 22 જૂને વિનાશકારી ભૂકંપને પગલે હેલિકોપ્ટરની મદદથી ઇજાગ્રસ્તોને મદદ કરવામાં આવી હતી.BAKHTAR NEWS AGENCY/Handout via REUTERS

અફઘાનિસ્તાનમાં બુધવાર (22 જૂન)એ આવેલા 6.1ની તીવ્રતાના વિનાશકારી ભૂકંપમાં ઓછામાં ઓછા 950 લોકોના મોત થયા હતા અને 600થી વધુ લોકો ઘાયલ થયા હતા, એમ ડિઝાસ્ટાર મેનેજમેન્ટ અધિકારીઓએ જણાવ્યું હતું.

ભૂકંપને કારણે ભારે તબાહી મચી હોવાની જાણકારી સામે આવી હતી. 6.1ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપને કારણે અફઘાનિસ્તાનમાં ઓછામાં ઓછા 950 લોકોનાં મૃત્યુ થયા હતા. 600 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. મોતનો આ આંકડો વધી પણ શકે છે. પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને અફઘાનિસ્તાનથી નજીકના વિસ્તારોમાં તબાહી પણ મચી છે. અમેરિકાના જિયોલોજીકલ સર્વે અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પૂર્વ અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી 44 કિમી દૂર હતું.

અફઘાનિસ્તાનની એક ન્યુઝ એજન્સી અનુસાર, સુરક્ષાકર્મીઓ હેલિકોપ્ટરના માધ્યમથી આ વિસ્તારમાં પહોંચી ગયા છે. તાલિબાન સરકારના ઉપ પ્રવક્તા બિલાલ કરીમીએ જણાવ્યું કે, પાકટીકા વિસ્તારમાં 4 જિલ્લાઓમાં ભીષણ ભૂકંપ આવ્યો છે. અહીં ભૂકંપમાં સેંકડોની સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે અને ડઝનો ઘર તબાહ થઈ ગયા છે. અમે તમામ સુરક્ષા પૂરી પાડનાર એજન્સીઓને અપીલ કરીએ છીએ કે પોતાની ટુકડીઓને આ વિસ્તારોમાં મોકલવામાં આવે જેથી વિનાશને અટકાવી શકાય.

અફઘાનિસ્તાન મીડિયા અનુસાર, ખોસ્તમાં ભારે તબાહીની તસવીરો સામે આવી રહી છે. પાકિસ્તાનમાં પણ ખૈબર પખ્તૂનવા વિસ્તારમાં એક વ્યક્તિના મૃત્યુની જાણકારી સામે આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ભૂકંપને કારણે ઘરની સીલિંગ ધરાશયી થવાને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાનના સમય અનુસાર સવારે 1.54 મિનિટે આ ભૂકંપ આવ્યો હતો. પાકિસ્તાનમાં પેશાવર, ઈસ્લામાબાદ, લાહૌર અને પંજાબ તેમજ ખૈબર પખ્તૂનવાના અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.