વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના આંકડા મુજબ ગત વર્ષે ભારતે 75 ટન સોનુ રીસાઈકલ કર્યું હતું. વિશ્વમાં ગોલ્ડ રીસાઈકલિંગના મુદ્દે ભારતે ચોથા સ્થાન છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ ‘ગોલ્ડ રીફાઈનિંગ એન્ડ રીસાઈકલિંગ’ પ્રમાણે ગોલ્ડ રીસાઈકલિંગમાં ચીન વિશ્વમાં પ્રથમ ક્રમે છે. તેણે ગત વર્ષે 168 ટન સોનું રીસાઈકલ કર્યું હતું. ઈટાલી 80 ટન સાથે બીજા ક્રમે રહ્યું હતું અને અમેરિકા 78 ટન સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું. વર્ષ 2013માં ભારતની ગોલ્ડ રીફાઈનિંગ ક્ષમતા 300 ટન હતી, જે વધીને 2021માં 1500 ટન થઈ ગઈ છે. એટલે કે તેમાં પાંચ ગણો (500 ટકા)નો વધારો થયો છે. છેલ્લાં એક દાયકામાં દેશમાં ગોલ્ડ રીફાઈનિંગ ક્ષેત્રે ચિત્ર બદલાયું છે અને ઔપચારિક ઓપરેશન્સની સંખ્યા 2013માં પાંચથી પણ ઓછી હતી, જે 2021માં વધીને 33 થઈ ગઈ છે.
બિનસંગઠિત ક્ષેત્રે વધુ 300-500 ટન રીફાઈનિંગની ક્ષમતા છે અને આ ગાળામાં તેમાં ઘટાડો થયો છે. સરકારે પ્રદૂષણ સંબંધિત નિયંત્રણો આકરા બનાવતા તેમાં ઘટાડો થયો છે. જોકે WGCએ નોંધ્યું છે કે રીસાઈકલિંગમાં ભારત ચોથા ક્રમે હોવા છતાં તેના પોતાના સોનાના જથ્થા પૈકી બહુ ઓછું રીસાઈકલ કરે છે, જે વિશ્વના કુલ સ્ક્રેપ સપ્લાય પૈકી માત્ર આઠ ટકા છે. સોનાની લગડીનો કુલ આયાતમાં હિસ્સો 2013માં 7 ટકા હતો, જે વધીને 2021માં 22 ટકા થઈ ગયો છે. રિપોર્ટ અનુસાર ભારતમાં બુલિયન માર્કેટમાં સુધારાનો આગામી તબક્કો સુચારુરૂપે પાર પડશે તો રિફાઈનિંગ હબ બનવાની ક્ષમતા ધરાવે છે. ગોલ્ડ બાર અને સ્ક્રેપની નિકાસ અને સપ્લાયનો મુખ્ય સ્રોત બની શકે છે.