ભારતે અગાઉ ઘઉંની નિકાસ પર પ્રતિબંદ મુક્યા પછી હવે સરકારે ઘઉંના લોટ, મેંદો અને સોજીની નિકાસ પર પણ કડક નિયંત્રણો લાદ્યા છે. ઘઉંના લોટની નિકાસ માટે તમામ નિકાસકારોએ હવે ઇન્ટર મિનિસ્ટ્રિયલ કમિટી ઓન વ્હિટ એક્સપોર્ટ્સ પાસેથી અગાઉથી મંજૂરી લેવી પડશે. એટલે કે સરકારે ઘઉંના લોટ, મેંદા, સોજીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી પરંતુ તે માટે કમિટી પાસેથી મંજૂરી લેવી ફરજિયાત બનાવી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)ના તાજેતરના જાહેરનામા મુજબ આ નવા નિયંત્રણો 12 જુલાઇથી અમલમાં આવશે. 6 જુલાઇ કે તેની પહેલા લોડ કરાયેલી શિપમેન્ટ કે 12 જુલાઇની પહેલા કસ્ટમ પાસે સબમિટ કરાયેલા કન્સાઇમેન્ટની નિકાસને મંજૂરી મળશે. ઘઉંની નિકાસ પર પ્રતિબંધ બાદ નિકાસકારો હવે ઘઉંના લોટની મોટા પ્રમાણમાં નિકાસ કરી રહ્યા હોવાના રીપોર્ટ મળ્યા છે. ઘઉંના લોટનો મોટો જથ્થો વિદેશમાં મોકલવામાં આવી રહ્યો હોવાથી સ્થાનિક બજારમાં તેના ભાવ વધ્યા છે.