Rajesh khanna
(Photo by PAL PILLAI/AFP via Getty Images)

બોલીવૂડના પ્રથમ સુપરસ્ટાર સ્વ. રાજેશ ખન્નાની દસમી પૂણ્યતિથિ તાજેતરમાં હતી. લાંબો સમય બીમાર રહ્યા પછી, રાજેશ ખન્નાનું નિધન થયું હતું. તેમની સાથે અનેક સફળ ફિલ્મોમાં કામ કરનાર પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરે રાજેશ ખન્ના સાથેની અનેક અનોખી વાતો જણાવી હતી. જેમાં તેમણે રાજેશ ખન્ના ઉર્ફે ‘કાકા’ ના સ્વભાવ, કામ કરવાની સ્ટાઈલ અને સબંધો માટેના આગવા અભિગમ વિશે જણાવ્યું હતું.

શર્મિલા ટાગોરે કહ્યું હતું કે, એક સમયે હું રાજેશ ખન્નાથી નારાજ હતી. તેઓ સવારે 9 વાગ્યાની શિફ્ટમાં 12 વાગે પહોંચતા હતા અને તેમના કારણે સમગ્ર ફિલ્મ ક્રૂનો સમય ખરાબ થતો હતો. હું જાણતી હતી કે, અમારા બંનેની જોડીને લોકો ખૂબ જ પસંદ કરતા હતા પણ તેમના મોડા આવવાની ટેવના કારણે મેં તેમની સાથે ફિલ્મો કરવાનું બંધ કર્યું હતું અને બીજા એક્ટર્સ સાથે કામ કરવાનું શરુ કર્યું હતું.

‘કાકા’ના સ્વભાવ અંગે શર્મિલા ટાગોરે કહ્યું હતું કે, તેઓ ખૂબ જ દિલદાર અને સરળ વ્યક્તિ હતા અને તેઓ અનેક સાથી કલાકારોને ગિફ્ટ આપતા હતા. એટલે સુધી કે તેમણે અનેક એક્ટર્સને ઘર પણ ગિફ્ટ કર્યા હતા. આવી અનેક મોંઘીદાટ ગિફ્ટ આપ્યા પછી રાજેશ ખન્ના સામે વાળા સારી રીતે સંબંધ નિભાવે તેવી આશા રાખતા હતા પરંતુ આ આશા જયારે ઠગારી નિવડતી ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થતા હતા.

આ બંને પીઢ કલાકારોએ 10થી વધુ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને તેમાંની મોટાભાગની ફિલ્મો સુપર હિટ રહી હતી. 60-70ના દશકામાં તેમણે આરાધના, સફર, અમરપ્રેમ, આવિષ્કાર, દાગ: અ પોયમ ઓફ લવ, ત્યાગ, રાજા રાની જેવી અનેક યાદગાર ફિલ્મો આપી હતી.