Bhanvajali on the occasion of the birth centenary of President Swami Maharaj
અમદાવાદમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણીની તૈયારીઓ દરમિયાન દિલ્હીના અક્ષરધામ મંદિર (પાછળના)ની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે. (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

અમદાવાદમાં નિર્મિત પ્રમુખ સ્વામીનગરમાં 30 દિવસ સુધી ચાલનારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 ડિસેમ્બરના રોજ સાંજે ૫.૦૦ કલાકે થશે. છેલ્લા વર્ષથી સમગ્ર વિશ્વભરમાં આ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. અમદાવાદમાં ઓગણજ વિસ્તારમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ભવ્યતા આ મહોત્વસની ઉજવણી થશે.

આની સાથે વિશ્વના એક સૌથી વિરાટ આધ્યાત્મિક મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનો પ્રારંભ થશે. વડાપ્રધાન મોદી ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સમગ્ર પ્રધાનમંડળ અને ભાજપના તમામ 156 ધારાસભ્યો પણ ભવ્ય ઉદઘાટન સમારંભમાં ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે સમગ્ર વિશ્વ અને ભારતનાં અનેક પ્રાંતમાંથી ખૂબજ મોટી સંખ્યામાં ભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહેશે એમ બીએપીએસ સંસ્થાની એક યાદીમાં જણાવાયું છે.

સમગ્ર વિશ્વમાં પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લાખોની સંખ્યામાં ભકતો ઉમટી રહ્યા છે, ત્યારે વડાપ્રધાને પણ અનેક વાર ફોન અને પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. તદુપરાંત પ્રમુખ સ્વામી મહારાજના આ મહોત્સવમાં ઉદ્ઘાટન પ્રસંગે તેઓ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને સ્વામીશ્રીને આદરાંજલિ અર્પણ કરશે.

BAPS સંસ્થાના અનેક સાંસ્કૃતિક,શૈક્ષણિક, આધ્યાત્મિક પ્રકલ્પોમાં અને અનેકવિધ રાહતકાર્યો અને સામાજિક સેવાઓના અનુસંધાનમાં માનનીય નરેન્દ્ર ચાર દાયકાઓ સુધી નિરંતર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના નિકટ સંપર્કમાં આવ્યા હતા. તેઓએ અનેક પ્રસંગોમાં પ્રત્યક્ષરૂપે પ્રમુખસ્વામી મહારાજનું વાત્સલ્ય અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ અને BAPS સંસ્થાનાં સેવા કાર્યો વિશેના અનેક વાર ઉદ્દગારો વ્યક્ત કરી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં ગાંધીનગર અક્ષરધામ રજતજયંતી મહોત્સવ પ્રસંગે કહ્યું હતું કે “અક્ષરધામ એક એવી પરંપરા છે કે એના એક કેસ સ્ટડી તરીકે દુનિયાની યુનિવર્સીટીઓને નિમંત્રિત કરવી જોઈએ કે ભારતમાં સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં પણ મોડર્ન મેનેજમેન્ટ અને મોડર્ન ટેક્નોલોજીનો કેવો અદભૂત સુયોગ છે! …અને સારંગપુરમાં સંતો માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ડેવલપ થયું છે! આજે હું એવું કહી શકું કે હિન્દુસ્તાનમાં સંત પરંપરા માટે આટલા કઠોર નિયમો અને જ્ઞાનના અધિષ્ઠાન પર ભક્તિ! ભક્તિમાં પણ તર્કના તરાજૂએ તોળાયેલી વ્યવસ્થા! …હું સારંગપુરમાં બાપાએ શરુ કરેલો આખો સિલેબસ જોવા ગયો હતો. કેવી રીતે સંતોની ટ્રેનિંગ થાય છે એ બધું જોયું હતું.”

અમદાવાદના એસપી રિંગ રોડ નજીક ૬૦૦ એકર જમીન પર વિકસાવાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરની તૈયારીઓ છેલ્લાં એક વર્ષથી ચાલતી હતી. હજારો સ્વયંસેવકો અને સંતોની અથાક મહેનતના પગલે અનોખી આધ્યાત્મિક નગરીનું સર્જન કરાયું છે. આવી અનોખી નગરીના મુખ્ય પ્રવેશદ્વારે બાળકો પરંપરાગત વેશભૂષા અને નૃત્ય સાથે વડાપ્રધાન મોદીનું અભિવાદન કરશે. જ્યાં વિશેષ રીતે તૈયાર કરાયેલા સ્ટેજ પર વડાપ્રધાન અને પૂ. મહંતસ્વામી બિરાજમાન થશે અને સ્વાગત નૃત્ય સહિતના કાર્યક્રમ બાદ સ્ટેજ મુખ્ય પ્રવેશદ્વારથી પ્રમુખસ્વામી નગરમાં પ્રવેશ કરશે.

વિશેષ મિકેનિઝમ ધરાવતું આ સ્ટેજ આગળ વધતું રહેશે. ૧૫ ફૂટના સ્ટેજ પર વિશેષ તૈયાર કરાયેલી ૩૦ ફૂટ ઊંચી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમા સમીપ આ સ્ટેજ પહોંચશે. પ્રતિમાને વંદન કરી વડાપ્રધાન પ્રમુખસ્વામી નગરનું પરિભ્રમણ કરશે. ગ્લો ગાર્ડન, વિવિધ પ્રદર્શનો, બાળનગરી, યજ્ઞ શાળા, ભજન શાળા સહિતના સ્થળોની મુલાકાત લેશે. પરિભ્રમણ બાદ વડાપ્રધાન સભા સ્થળે પહોંચશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, બીએપીએસના સંતો તથા અન્ય અગ્રણી અગાઉથી હાજર હશે.

LEAVE A REPLY

eighteen + 9 =