કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યા પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થયું છે. અમે ગરીબોના મુદ્દે લડ્યા હતા. અમે પ્રેમથી આ લડાઈ લડ્યા હતા. કર્ણાટકની જનતાએ અમને બતાવ્યું કે આ દેશ પ્રેમને પસંદ કરે છે. કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થઈ ગયું છે. પ્રેમની દુકાનો ખૂલી ગઇ છે. આ સહુની જીત છે. આ કર્ણાટકની જનતાની જીત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે ચૂંટણીમાં કર્ણાટકની જનતાને પાંચ વચન આપ્યા હતા. આ વચનો પ્રથમ દિવસે, પ્રથમ કેબિનેટમાં પૂર્ણ કરવામાં આવશે.
બીજી તરફ કર્ણાટકમાં ભાજપે હાર સ્વીકારી લીધી છે. મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ કહ્યું હતું કે, સંપૂર્ણ પરિણામો આવ્યા પછી અમે તેની સમીક્ષા કરીશું.
ચૂંટણીપંચના જણાવ્યા મુજબ, કોંગ્રેસે અત્યાર સુધીમાં 73 બેઠક જીતી છે અને 63 પર આગળ છે, એટલે કે કુલ 136 બેઠક. ભાજપે 30 બેઠક જીતી છે અને 34 બેઠક પર આગળ છે એટલે કે કુલ 64 બેઠક મેળવી શકે છે. જેડીએસે 13 સીટ જીતી છે અને 7માં આગળ, કુલ 20 સીટ. અન્ય પક્ષોએ 4 બેઠકો પર જીત મેળવી છે.
રાજ્યમાં કોંગ્રેસની જીત પછી કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર ભાવૂક બની ગયા હતા. તેમણે કહ્યું હતું કે, “મેં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને વિજયની ખાતરી આપી હતી. હું ભૂલી શકતો નથી કે જ્યારે સોનિયા ગાંધી મને જેલમાં મળવા આવ્યા હતા, ત્યારે મેં હોદ્દો સંભાળવાને બદલે જેલમાં જ રહેવાનું પસંદ કર્યું હતું, મને વિશ્વાસ હતો.” કોંગ્રેસે રવિવારે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે અને તેમાં આગળની કાર્યવાહી નક્કી થશે.
જ્યારે પંજાબની જલંધર લોકસભાની સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઇ છે, તેમણે કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા છે.













