(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલીવૂડના મિલિનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચને પોતાના પારિવારિક જીવન વિશે એક ઇન્ટરવ્યૂમાં ઘણા ખુલાસા કર્યા છે. તેણે કહ્યું હતું કે, પુત્રી આરાધ્યાના જન્મ પછી તેમનું જીવન, વિચારસરણી અને દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. તેણે દીકરીના ઉછેર અંગે વાત કરી હતી.

આ સાથે જ તેણે ઐશ્વર્યા રાય સાથેના પોતાના સંબંધો પર પણ પોતાના વિચારો રજૂ કર્યા અને ટ્રોલ્સને પણ જવાબ આપ્યો. અભિષેકે વધુમાં કહ્યું કે, ‘આરાધ્યાની સતત સવાલ પૂછવાની ટેવથી મને એ બાબતનો અહેસાસ થયો, જેના વિશે મેં પહેલા ક્યારેય વિચાર્યું જ નહોતું.’ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયનું દામ્પત્ય જીવન ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે.

હવે અભિષેકે પોતાના સંબંધો, પરિવાર અને લગ્ન જીવન અંગે ખુલીને વાત કરી છે. અભિષેકે જણાવ્યું કે, ‘અમારા સંબંધોનો પાયો હંમેશા પાર્ટનરશિપ પર ટકી રહ્યો છે, ન કે કોઈ કોમ્પિટિશન અથવા પરંપરાગત જેન્ડર રોલ્સ પર. જ્યારે મારા માતાપિતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્ન થયા હતા ત્યારે મારી માતા એક મોટી સ્ટાર હતી, તેથી આ પરિસ્થિતિ તેમના માટે ક્યારેય અસામાન્ય નથી રહી.

હું ઐશ્વર્યાને પોતાના કરિયરની શરૂઆતથી જાણું છું અને બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અમે પહેલા મિત્રો હતા, પછી અમારો સંબંધ આગળ વધ્યો. અમારી કોર્ટશિપ, સગાઈ અને લગ્ન બધું જ એક પાર્ટનરશિપની જેમ રહ્યું. ક્યારેય એવું ન બન્યું કે, ઘર અને કામ અંગે કોઈ નિશ્ચિત ભૂમિકા હોય.’

જીવનમાં અહંકાર અંગે તેણે કહ્યું કે, ‘હું તેને નકારાત્મક રીતે નથી જોતો. કોઈ પણ સંબંધમાં આગળ વધવા માટે એક-બીજાએ પાછળ હટવાની જરૂર ન હોવી જોઈએ. હું એવો વ્યક્તિ નથી જે ઈચ્છે છે કે મારી જીત માટે કોઈ બીજું અટકી જાય. હું એવા લગ્ન નથી ઈચ્છતો જ્યાં મારી પત્ની મને ‘પુરુષ પ્રધાન’ જીવનનો અનુભવ કરાવવા માટે પોતાની કારકિર્દી સાથે સમાધાન કરવું પડે.’