કોરોના મુદ્દે હાઇકોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં રાજ્ય સરકારે તેનો જવાબ રજૂ કર્યો છે. જેમાં રાજ્ય સરકારે કહ્યું છે કે આરોગ્યની સેવા મેળવવી એ મૂળભૂત અધિકાર છે, પરંતુ તે યોગ્ય પ્રતિબંધને આધારિત છે. કોરોનાની સ્થિતિમાં સરકાર અમુક ચોક્કસ રોક લગાવી શકે છે. ICMRની માર્ગદર્શિકા પ્રમાણે દરેક રાજ્યો એકસૂત્રતા ધરાવતી નીતિ અપનાવે તે હિતાવહ છે.

આ ઉપરાંત રાજ્ય સરકારે કહ્યું છે કે રાજ્યમાં ICMRએ માન્યતા આપેલી 19 ખાનગી લેબોરેટરીઓ છે. કોઈ સુવિધા સંપન્ન લેબોરેટરીએ માન્યતા મેળવવા માટે સરકારમાં અરજી કરી હોય અને તે પડતર હોય તેવી કોઈ માહિતી નથી. ICMRની વેબસાઈટ પર પણ આ અંગે કોઈ માહિતી નથી.

રાજ્ય સરકારે તેના જવાબમાં એ પણ કહ્યું છે કે સિવિલમાં અન્ય બીમારીઓ અને દર્દીઓ વૃદ્ધ હોવાના લીધે મૃત્યુ પામ્યા છે. તેમાં સિવિલના તંત્ર કે રાજ્ય સરકારનો કોઇ વાંક નથી. ખાનગી હોસ્પિટલોમાં અત્યાર સુધી 3292 દર્દીઓને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા અને તેઓ સારવાર લઇ ચૂક્યા છે.

ખાનગી હોસ્પિટલમાં 2077 પથારીઓ છે, જેમાં 911 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. સરકારે કહ્યું કે સરકાર પુરતા પગલાં લઈ રહી છે.રાજ્ય સરકારે કહ્યું હતું કે સિવિલમાં સ્ટાફની કોઈ અછત નથી. કોરોનાના દરેક પ્રકારના દર્દીઓને યોગ્ય સારવાર, સારી સુવિધા અને જમવાનું પણ મળે છે.

કોરોનાના દર્દીઓની સારવારમાં કોઈ બેદરકારી રાખવામાં આવતી નથી. અન્ય રોગ અને વૃદ્ધ હોવાના લીધે દર્દીઓના મોત થયા છે. ડોક્ટર્સ અને સ્ટાફને PPE કિટ સહિત તમામ સુરક્ષાના સંસાધન અપાય છે. મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન (આરોગ્ય પ્રધાન) સતત સિવિલની કામગીરી પર નજર રાખી રહ્યા છે. જેમને કોરોના અંગેની જવાબદારી સોંપવામાં આવી છે તે તમામ ઉચ્ચ અધિકારીઓ પણ સતત નજર રાખી રહ્યા છે. જે ખાનગી હોસ્પિટલ સામે વધુ ફી લેવાનો આક્ષેપ છે તેમની સામે તપાસ ચાલી રહી છે.

વી.એસ.હોસ્પિટલ અંગે સરકારે જવાબ રજૂ કરતા કહ્યું કે વીએસ હોસ્પિટલમાં 500 બેડની સુવિધા છે જ્યાં ગાયનેક, જનરલ, મેડિસિન, ઓર્થોપેડિક ના દર્દીઓની સારવાર થઈ રહી છે. વીએસ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે યોગ્ય સ્ટાફનો અભાવ છે જેથી ત્યાં કોરોના દર્દીઓની સારવાર થઇ શકે તેમ નથી.

વી.એસ.માં કોરોનાના દર્દીઓની સારવારની વ્યવસ્થા કરાશે તો બીજા દર્દીઓને ચેપ લાગવાની સંભાવના વધી જશે અને તેઓ પણ યોગ્ય સારવાર મેળવી શકશે નહીં. વીએસ હોસ્પિટલના સ્ટાફને SVP અને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવેલો છે.