ANI/Reuters TV via REUTERS

લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના ડોકટરોના રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ સાથે અથડાઇને ક્રેશ થયું હતું. તેનાથી આ પરિસરમાં ઇમારતોને આગ લાગી હતી અને ભારે નુકસાન થયું હતું.

અમદાવાદ એરપોર્ટથી આશરે બે કિમી દૂર આવેલા રહેણાંક ક્વાર્ટર્સમાં રહેતા ઘણા લોકો ઘાયલ પણ થયા હતાં.
એક પ્રત્યક્ષદર્શી હરેશ શાહે પીટીઆઈને જણાવ્યું કે, વિમાન ખૂબ જ નીચે ઉડી રહ્યું હતું અને તે આ સરકારી કોલેજના ડોકટરોના રહેણાંક ક્વાર્ટરમાં ક્રેશ થયું હતું. અહીં પાંચ માળની ઘણી ઇમારતો છે જે ડોક્ટરોના રહેણાંક નિવાસસ્થાન પણ છે. તે એપાર્ટમેન્ટ્સમાં ઘણા લોકો ઘાયલ થયા હતા કારણ કે ઇમારતોમાં પણ આગ લાગી હતી. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે પરિસરમાં પાર્ક કરેલી ઘણી કાર અને વાહનોમાં પણ આગ લાગી હતી.

ગુરુવાર, 12 જૂન બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથે લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાના થોડીવાર પછી રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેમાં ઘણા લોકોના મોતની આશંકા છે. બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન (AI171) દૂરથી જોઈ શકાતું હતું, જે ઝડપથી ઊંચાઈ ગુમાવી રહ્યું હતું અને ક્રેશ થયું હતું. હવામાાં જાડા કાળા ધુમાડાના ગોટા ઉડવા લાગ્યા હતા.

LEAVE A REPLY