ઐશ્વર્યા રાય બચ્ચને નાસિકમાં પવન ચક્કી પ્રોજેક્ટ માટે જમીન ખરીદ્યા પછી તેની મહેસૂલની ફી નહીં ભરવા બદલ જિલ્લા મહેસૂલી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ઐશ્વર્યા રાય બચ્ચનને નાસિકના મામલતદાર તરફથી નોટિસ આપવામાં આવી છે. નાસિકના સિન્નરના અડવાડી એરિયામાં ઐશ્વર્યા રાયે પવન ચક્કી માટે જમીન ખરીદી છે. આ જમીનનો એક વર્ષની મહેસૂલ પેટે રૂ. 21,960 ભરવાના બાકી છે. કહેવાય છે કે, ઐશ્વર્યાની સાથેસાથે અન્ય 1200 જમીનધારકોને પણ મહેસૂલ ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.
માર્ચ મહિનામાં એકાઉન્ટ ક્લોઝિંગ થતું હોવાથી માર્ચ મહિનાના અંત સુધીમાં મહેસૂલ ભરવાની સૂચના આપવામાં આવી છે. જોકે, ઐશ્વર્યા રાય તરફથી આ નોટિસ બાબતે કોઈ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. ઐશ્વર્યાએ તેની એક્ટિંગ તથા એન્ડોર્સમેન્ટની આવકમાંથી અનેક કંપનીઓ તથા કમર્શિઅલ પ્રોજેક્ટસમાં રોકાણ કર્યું હોવાનું માનવામાં આવે છે.
આ અંગે બોલીવૂડના સૂત્રો કહે છે કે, બોલીવૂડના મોટાભાગના ફિલ્મકારો ફાયનાન્સિયલ કન્સલ્ટન્ટ પાસે નાણાના રોકાણ કરવા વિશે સલાહ લેતા હોય છે. ઐશ્વર્યાના કેસમાં પણ કન્સલ્ટન્ટ દ્વારા ભૂલ થઈ ગઈ હોય અને ઐશ્વર્યાને તે વિશે કંઇ માહિતી ના પણ હોય તેવું બનવાની સંભાવના છે.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)