ફાઇલ ફોટો (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં બેફામ વધારો થઈ રહ્યો હોવાથી ગાંધીનગરમાં આવેલા વિખ્યાત અક્ષરધામ મંદિરને દર્શનાર્થીઓ માટે તારીખ 9 એપ્રિલ, 2021થી 30 એપ્રિલ, 2021 સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ વિખ્યાત મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. તેથી સાવચેતીના પગલાં રૂપે મંદિરને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અક્ષરધામ મંદિરને અગાઉ પણ 19 માર્ચે કોરોનાને કારણે બંધ કરવામાં આવ્યું હતું અને 25 ઓક્ટોબર 2020ના રોજ દશેરાના દિવસે સાત મહિના બાદ મંદિર ખોલવામાં આવયું હતું.

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 6 મહાનગરો સહિત 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. બુધવારે રાજ્યમાં પહેલી વખત 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા અને વધુ 22 લોકોના કોરોના સંક્રમણથી મોત થયા હતા.