વડા પ્રધાન કેર સ્ટાર્મરે ગુરુવારે અમદાવાદથી લંડન આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી અકસ્માતે ક્રેશ થતાં દુઃખ વ્યક્ત કર્યું છે. આ પ્લેનમાં 53 બ્રિટિશ નાગરિકો સહિત 242 મુસાફરો હતા. બકિંગહામ પેલેસે આ અંગે જણાવ્યું હતું કે ‘’કિંગ ચાર્લ્સ ત્રીજાને આ અક્સમાતની જાણ કરવામાં આવી છે.
સ્ટાર્મરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ઘણા બ્રિટિશ નાગરિકોને લઈને લંડન આવતી વિમાન દુર્ઘટનાના દ્રશ્યો વિનાશક છે. પરિસ્થિતિ અંગે અપડેટ કરવામાં આવી રહ્યો છે. આ ખૂબ જ દુઃખદ સમયે મારી પ્રાર્થવના અને લાગણીઓ મુસાફરો અને તેમના પરિવારો સાથે છે.”
યુકેના ફોરેન સેક્રેટરી સચિવ ડેવિડ લેમીએ સોશિયલ મીડિયા પર અસરગ્રસ્તોને ટેકો વ્યક્ત કરતાં લખ્યું હતું કે “અમદાવાદમાં થયેલી વિનાશક વિમાન દુર્ઘટનાના સમાચારથી ખૂબ જ દુઃખ થયું. મારી લાગણીઓ અસરગ્રસ્ત તમામ લોકો સાથે છે. યુકે ભારતના સ્થાનિક અધિકારીઓ સાથે તાત્કાલિક તથ્યો સ્થાપિત કરવા અને સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે. યુકે ફોરેન ઓફિસે દિલ્હી અને લંડન બંનેમાં ઇમરજન્સી ટીમોની વ્યવસ્થા કરી છે.”
યુકે ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) એ જણાવ્યું હતું કે ‘’અમે ભારતના સ્થાનિક અધિકારીઓ સાથે તાત્કાલિક તથ્યો સ્થાપિત કરવા અને ભોગ બનેલા લોકોને સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે. જે બ્રિટિશ નાગરિકોને કોન્સ્યુલર સહાયની જરૂર હોય અથવા મિત્રો અથવા પરિવાર વિશે ચિંતા હોય તેમણે 020 7008 5000 ઉપર કૉલ કરવા વિનંતી છે.”
યુકેના વિરોધ પક્ષના કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા, કેમી બેડેનોકે, આ દુર્ઘટનાને “હૃદયદ્રાવક” ગણાવતા કહ્યું હતું કે “મારી સંવેદનાઓ ખાસ કરીને વિમાનમાં સવાર લોકોના પરિવારો અને ભયાનક દુર્ઘટનાનો સામનો કરી રહેલી કટોકટી ટીમો સહિત અસરગ્રસ્ત તમામ લોકો સાથે છે.’’
