(PTI Photo)

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ સોમવાર, 17 નવેમ્બરે બીજી વખત ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો. ઉદ્યોગપતિએ કહ્યું હતું કે તેઓ વર્ચ્યુઅલ હાજરી અથવા રેકોર્ડેડ વિડિયો દ્વારા ફેડરલ તપાસ એજન્સી સમક્ષ જુબાની આપવા તૈયાર છે. અગાઉ તેમણે 14 નવેમ્બરના રોજ પહેલી વાર સમન્સ ટાળ્યું હતું.

EDએ અંબાણીની ઓફર ફગાવી દીધી હતી અને સોમવાર માટે તેમને નવું સમન્સ જારી કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સીએ અંબાણીને શુક્રવારે રૂબરૂ હાજર થવા અને FEMA હેઠળ તેમનું નિવેદન નોંધાવવા જણાવ્યું હતું.
અગાઉ ઓગસ્ટમાં ફેડરલ તપાસ એજન્સીએ આ 66 વર્ષીય ઉદ્યોગપતિની લગભગ દસ કલાક પૂછપરછ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, SBI સાથે રૂ.2,929 કરોડની લોન છેતરપિંડી માટે રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ (RCom) સામેના કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આ તપાસ થઈ રહી છે.

EDની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની 21 ઓગસ્ટના રોજ નોંધાયેલી FIR આધારિત છે. નાણાકીય મુશ્કેલીમાં મુકાયેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપની આસપાસ નિયમનકારી ગાળિયો વધુ મજબૂત બની રહ્યો છે. અગાઉ કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA)એ ગ્રુપની કંપનીઓમાં ભંડોળના કથિત ડાયવર્ઝનની નવેસરથી તપાસનો આદેશ આપ્યો છે. આ તપાસ હવે સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO)ને સોંપવામાં આવી છે.

અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે રિલાયન્સ ગ્રુપ કંપનીઓની આશરે ₹7,500 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી. EDનો કેસ 2010 અને 2012ની વચ્ચે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને તેની ગ્રુપ કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોન સંબંધિત છે. એજન્સી અનુસાર લોનની કુલ બાકી રકમ રૂ.40,185 કરોડ છે અને પાંચ બેન્કોએ લોન ખાતાઓને ફ્રોડ જાહેર કર્યા છે.

LEAVE A REPLY