ભારતની બીજા ક્રમની સૌથી મોટી ખાનગી બેન્ક HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીએ નૈતિક ચિંતાઓનો હવાલો આપીને અચાનક પોતાના હોદ્દા પરથી ગુરુવારે રાજીનામું આપ્યું હતું. HDFC બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેને બેન્કની કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરીને રાજીનામું આપ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
તેમણે 17 માર્ચના રોજ તેમના રાજીનામા પત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં મેં બેંકમાં કેટલીક ઘટનાઓ અને પ્રથાઓનું અવલોકન કર્યું છે તે મારા અંગત મૂલ્યો અને નીતિશાસ્ત્ર સાથે સુસંગત નથી. આ મારા ઉપરોક્ત નિર્ણયનો આધાર છે. આ કારણો સિવાય મારા રાજીનામા માટે અન્ય કોઈ કારણો નથી.
મોડી સાંજે નિયમનકારી માહિતીમાં HDFC બેંકે જણાવ્યું હતું કે ચક્રવર્તીએ 18 માર્ચ, 2026ના રોજ તાત્કાલિક અસરથી બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન અને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું છે. બેન્કે 3 મહિનાના સમયગાળા માટે HDFC બેંકના વચગાળાના પાર્ટ-ટાઇમ ચેરમેન તરીકે કેકી મિસ્ત્રીની નિમણૂક કરી છે અને તેને રિઝર્વ બેન્કે મંજૂરી આપી છે.
નોંધનીય છે કે ચક્રવર્તીને આર્થિક બાબતોના સચિવ તરીકે નિવૃત્તિ લીધાના લગભગ એક વર્ષ પછી 5 મે, 2021 ના રોજ પાર્ટ-ટાઇમ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી તેમનો કાર્યકાળ 2024માં 4 મે, 2027 સુધી વધુ ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો.














