ફાઇલ તસવીર (Photo JOHANNES EISELEAFP via Getty Images)

ડાઉનિંગ સ્ટ્રીટે એનએચએસના શ્યામ અને વંશીય લઘુમતીના 70% મેડિક્સ સહિતના કર્મચારીઓને  કોરોનાવાયરસનો ‘અપ્રમાણસર’ ચેપ લાગવા અને તેમાંથી ત્રીજા ભાગના લોકોના થઇ રહેલા નિધન અંગે તપાસ કરવા આદેશ આપ્યો છે.  આ અંગે આરોગ્ય સેવા અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ) ઉપલબ્ધ પુરાવાઓની સમીક્ષા કરશે. કોવિડ -19 થી યુકેમાં મૃત્યુ પામેલા પ્રથમ તમામ 10 ડોકટરો એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકા સહિતના પ્રદેશોના હતા. જે આંકડા લેબર પક્ષને ખૂબજ આપત્તીજનક લાગ્યા હતા.

વંશીય લઘુમતીઓના લોકો વધુ ભોગ બન્યા હોવાના ઇન્ટેન્સિવ કેર નેશનલ ઓડિટ એન્ડ રિસર્ચ સેન્ટરના કોવિડ-19 દર્દીઓના ડેટા મળ્યા પછી આરોગ્ય સેવા અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ પુરાવાઓની સમીક્ષા કરશે. સ્કાય ન્યૂઝના વિશ્લેષણમા જણાયુ હતુ કે કોરોનાવાયરસથી કુલ 54 તબીબો અને કેર વર્કર માર્યા ગયા હતા. જેમાંથી 70 ટકા અશ્વેત હતા. તમામ તબીબી કર્મચારીઓનો 44 ટકા ભાગ BAME સ્ટાફનો છે અને જે લોકોએ તપાસની માંગ કરી છે તેમાં લેબર પાર્ટી તેમ જ બ્રિટીશ મેડિકલ એસોસિએશનનો સમાવેશ થાય છે.

ચીફ મેડિકલ ઓફિસર પ્રો. ક્રિસ વ્હિટીએ ગુરૂવારે રાતે જણાવ્યું હતું કે ‘’કયા જૂથોમાં મોતનુ સૌથી વધુ જોખમ છે તે શોધી કાઢવુ સૌથી વધુ જટીલ છે જેમને અમે સુરક્ષિત કરવામાં મદદ કરી શકીએ. અત્યાર સુધીમાં સ્પષ્ટ વય, પુરુષ જાતી અને આરોગ્યની અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવાના સ્પષ્ટ જોખમી પરિબળો હતા. પરંતુ વંશીયતા મોત માટે જવાબદાર છે તેવા પુરાવા ‘ઓછા સ્પષ્ટ’ હતા. મેં વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી છે અને એનએચએસના નેતાઓ, તબીબો અને નર્સિંગ સ્ટાફ પર પણ ખાસ ધ્યાન રાખું છું. અમે પીએચઇને વિગતવાર તપાસ કરવા કહ્યું છે અને જો કોઈ વાંધાજનક જણાશે તો જોખમ ઘટાડવા માટે શું કરી શકીએ છીએ તે જોઈશુ.’

આઇસીએનએઆરસીએ જણાવ્યું હતું કે ‘’કોવિડ-19ના 1,966 દર્દીઓમાંથી 64.8 ટકા શ્વેત, 13.6 ટકા શ્યામ, 13.8 ટકા એશિયન અને 6.6 ટકા અન્ય હતા. તેની સામે 2011ની યુકેની વસ્તી ગણતરી મુજબ 7.5 ટકા એશિયન અને 3.3 ટકા શ્યામ લોકોની વસ્તી છે.

કોરોનાવાયરસ લઘુમતીઓને કઇ રીતે અસર કરે છે તેની તપાસ કરીશુ : NHS

યુકેમાં કોવિડ-19 માં મૃત્યુ પામેલા પ્રથમ દસ ડોકટરો શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય (BAME) સમુદાયોના હોવાના અને બ્રિટીશ મેડિકલ એસોસિએશને (બીએમએ) BAME સમુદાયોના લોકો કોરોનાવાયરસથી અપ્રમાણસર રીતે અસર પામ્યા હોવાથી તપાસ માટે હાકલ કર્યા બાદ એનએચએસ ઇંગ્લેંડ અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ તપાસ શરૂ કરનાર છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે આઇટીવી ન્યૂઝને જણાવ્યુ હતુ કે મોઇનોરીટીના લોકોના મોત થાય છે તે બાબત સમજવી “ખરેખર મહત્વની” છે. એનએચએસમાં કામ કરતા અને મરી ગયેલા લોકોમાં લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિના લોકોનું પ્રમાણ ખૂબ વધારે છે અને તે ખરેખર મને ચિંતા કરે છે. અહીં જન્મેલા અને અહીં સ્થળાંતર કરીને આવેલા સમુદાયના લોકોના કાર્યોને હું બિરદાવુ છું.’’

શેડો ઇક્વાલીટી સેક્રેટરી માર્શા ડી કોર્ડોવાએ કોવિડ-19ની BAME સમુદાયો પર થતી અસર અંગેની સમીક્ષાનું સ્વાગત કરતા કહ્યું હતું કે ‘’તે સ્પષ્ટ નથી કે તે તપાસ સ્વતંત્ર હશે કે નહીં, તેના તારણ ક્યારે આવશે અને તેનુ વડપણ કોણ કરશે.”

મોતને ભેટેલા BAME તબીબો

  • લોકોનો જીવ બચાવવાનો પ્રયાસ કરતી વખતે મરણ પામેલા તબીબોમાં સફોકના રેયડનમાં રહેતા અને સીરિયામાં જન્મેલા 72 વર્ષીય ડો. ફૈયાઝ આયાચેનુ બાયલેટરલ ન્યુમોનિયા અને કોરોનાવાયરસના કારણે ઇપ્સવિચ હોસ્પિટલમાં છ દિવસ પછી મોત નીપજ્યું હતું.
  • 53 વર્ષના ડૉ. અબ્દુલ મબુદ ચૌધરી વાયરસ સામેની 15 દિવસની લડત પછી હોસ્પિટલમાં મરણ પામ્યા હતા. બાંગ્લાદેશમાં જન્મેલા ડો. ચૌધરીએ ‘યુકેમાં દરેક એનએચએસ કાર્યકર માટે પી.પી.ઈ. ઉપલબ્ધ છે’ તેની ખાતરી કરવા વડાપ્રધાનને પત્ર લખી તાકીદ કરી હતી.
  • ડૉ. અમજદ અલ-હવરાણી ફ્રન્ટ લાઇન હૉસ્પિટલના મોતને ભેટેલા યુ.કે.ના પ્રથમ ડોક્ટર હતા.
  • મૂળ નાઇજિરીયાના 68 વર્ષીય ‘ઉત્સાહી’ ફીજીશ્યન ડૉ. અલ્ફા સાદુનુ 31 માર્ચના રોજ બે અઠવાડિયા સુધી વાયરસ સામે લડ્યા પછી મૃત્યુ થયુ હતું. હર્ટફર્ડશાયરના વેલીન ગાર્ડન સિટીની ક્વીન વિક્ટોરિયા મેમોરિયલ હોસ્પિટલમાં કામ કરતા ડો. સાદુ રોગચાળા સામે લડવા નિવૃત્તિમાંથી બહાર આવ્યા હતા.
  • કન્સલ્ટન્ટ ગેરીએટ્રિશિયન ડો. એન્ટોન સેબેસ્ટિયનપિલ્લઇનું શનિવારે સાઉથ વેસ્ટ લંડનની કિંગ્સ્ટન હોસ્પિટલમાં અવસાન થયું હતુ. તેમને 31 માર્ચના રોજ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ રોગચાળામાં મદદ કરવા નિવૃત્તિમાંથી બહાર આવ્યા હતા.