પીટરબરો સ્થિત ભારત હિન્દુ સમાજ મંદિરનું સ્થાનિક મસ્જિદને વેચાણ થયું હોવાના અહેવાલો વચ્ચે મંદિર ગુમાવવાનું જોખમ ધરાવતા હિન્દુ સમુદાયે સ્થાનિક સત્તાવાળાઓ સામેની કાનૂની લડાઈનો પ્રથમ રાઉન્ડ જીતી લીધો છે. હાઇ કોર્ટના ન્યાયાધીશ શ્રી જસ્ટિસ ફોર્ડહામે વેચાણ સામે કામચલાઉ મનાઈ હુકમનો આદેશ આપ્યો છે અને કોર્ટ હવે નક્કી કરશે કે મંદિર જૂથ અને કાઉન્સિલે તેમના કેસ લેખિતમાં રજૂ કર્યા પછી આગળ શું થશે.
કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું: “અમે કાનૂની કાર્યવાહીથી વાકેફ છીએ… અને હવે કાનૂની પ્રક્રિયામાં જોડાઈશું. કાઉન્સિલ અધિકારીઓ આ મામલે તમામ અસરગ્રસ્ત પક્ષો સાથે સંપર્ક કરવાનું ચાલુ રાખે છે.”
મંદિરના પ્રવક્તાએ કહ્યું હતું કે તેમની પાસે મનાઈ હુકમ માટે અરજી કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહતો અમે કાર્યવાહી પર વાટાઘાટો દ્વારા રોક ઇચ્છીએ છીએ, જેનાથી અમારો સમય અને પૈસા બચશે. અમારી લડાઈ મસ્જિદ સાથે નથી; અમારી લડાઈ કાઉન્સિલે સાથે છે.”
મસ્જિદના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ‘’કાનૂની કાર્યવાહી ચાલુ હોવાથી આ તબક્કે વિગતો પર ટિપ્પણી કરવી અમારા માટે યોગ્ય રહેશે નહીં. અમારું ધ્યાન જવાબદારીપૂર્વક કાર્ય કરવા, સમુદાયના એકતાને ટેકો આપવા અને કાઉન્સિલ અને તમામ અસરગ્રસ્ત પક્ષો સાથે રચનાત્મક રીતે કામ કરવા પર રહેશે.”
ગયા મહિને, કાઉન્સિલરોએ લાખો પાઉન્ડનું દેવું ચૂકવવાના પ્રયાસમાં શહેરમાં આવેલા ન્યૂ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સને મંદિર સહિત વેચવા માટે મતદાન કર્યું હતું. ગુપ્ત હરાજી પ્રક્રિયા પછી, હિન્દુ ભક્તોને કહેવામાં આવ્યું હતું કે તેઓ બોલી હારી ગયા છે.
કાઉન્સિલે વારંવાર ખરીદનારની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો છે, પરંતુ બીબીસી દ્વારા જોવામાં આવેલા કોર્ટ દસ્તાવેજો પુષ્ટિ કરે છે કે તે બીડ શહેરની ખાદીજા મસ્જિદ દ્વારા જીતવામાં આવી છે.
બીબીસી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કાઉન્સિલે આ અંગે કોઈ વાત કરી ન હતી, પરંતુ એક નિવેદનમાં મસ્જિદે પોતાને પસંદગીની બોલી લગાવનાર તરીકે ઓળખાવી હતી.
ભારત હિન્દુ સમાજ મંદિર અઠવાડિયા દરમિયાન લંચ ક્લબ અને ચેરિટી આઉટરીચ કાર્યો ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવે છે.
આ કેસમાં સાંસ્કૃતિક સંરક્ષણ અને સ્થાનિક શાસનના વ્યાપક મુદ્દાઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. મંદિરના સમર્થકો પ્રદેશમાં હિન્દુ વારસા અને સામાજિક પહોંચ જાળવવામાં મંદિરની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે, જ્યારે કાઉન્સિલે દલીલ કરી છે કે નાણાકીય પડકારોનો સામનો કરવા માટે તે વેચાણ જરૂરી છે.
કાનૂની પ્રક્રિયાનો આગળનો તબક્કો નક્કી કરશે કે વેચાણ આગળ વધી શકે છે કે મંદિર હિન્દુ સમુદાયના હાથમાં જ રહેશે. પરિણામ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને તે યુકેમાં પૂજા સ્થાનો અને સમુદાય ઇમારતોના વેચાણ માટે એક મિસાલ સ્થાપિત કરી શકે છે.
પીટરબરો સ્થિત ભારત હિન્દુ સમાજ મંદિરની સ્થાપના 1986માં કરવામાં આવી હતી અને તેનો ઉપયોગ કેમ્બ્રિજશાયર, નોર્ફોક, લિંકનશાયર અને લેસ્ટરશાયરના ભક્તો દ્વારા કરવામાં આવે છે.
આગામી સુનાવણીની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.














