બર્મિંગહામ એરપોર્ટ (BHX)ને તા. 7 એપ્રિલના રોજ બપોરે નોર્થ ટર્મિનલમાં ધુમાડાના અહેવાલો બાદ હજારો મુસાફરોને મોટી સુરક્ષા ચેતવણીઓ સાથે નોર્થ ટર્મિનલ ખાલી કરાવાયું હતું અને આવનારી ફ્લાઇટ્સ માટે સંપૂર્ણ ગ્રાઉન્ડ સ્ટોપ શરૂ કરવામાં આવ્યો હતો.
બેગેજ રિક્લેમ અને ઇમિગ્રેશન હોલમાં ડોમેસ્ટિક ફાયર એલાર્મ સક્રિય થયા બાદ વેસ્ટ મિડલેન્ડ્સ ફાયર સર્વિસ (WMFS) ને બપોરે લગભગ 1 વાગ્યે ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.. પ્રારંભિક અહેવાલોમાં આગ લાગવાનું સૂચવવામાં આવ્યું હતું, પરંતુ ફાયર ક્રૂએ બપોરે 3:30 વાગ્યે પુષ્ટિ કરી હતી કે કોઈ સક્રિય આગ જણાઇ નથી. જો કે, પ્રતિબંધિત વિસ્તારમાં ભરાયેલા ધુમાડાના સ્ત્રોતને ઓળખવા માટે આ હેવાલ લખાય છે ત્યારે નિષ્ણાતો સ્થળ પર તપાસ કરી રહ્યા છે.
ઘણી ફ્લાઇટ્સને બે કલાકથી વધુ સમય માટે ટેક્સીવે પર રોકવાની ફરજ પડી છે. નારાજ મુસાફરોએ ગ્રાઉન્ડેડ એરક્રાફ્ટ પર બેઠેલા એરપોર્ટ અધિકારીઓ તરફથી “સંચારનો સંપૂર્ણ અભાવ” વર્ણવ્યો હતો.
વિમાનમાં જ બેસી રહેલા કેટલાક મુસાફરો ટ્રેન ચૂકી ગયા છે અને કેટલાક લોકોના સ્વજનો ગાડીઓમાં તેમની રાહ જોઈ રહ્યા છે.
બર્મિંગહામ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્ટાફ અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે “સાવચેતીના પગલા” તરીકે સામાન અને ઇમિગ્રેશન ઝોન ખાલી કરાવાયો હતો.
નોર્થ ટર્મિનલ ધીમે ધીમે ફરી ખુલવાનું શરૂ થઈ રહ્યું છે અને એરપોર્ટની મુખ્ય બિલ્ડીંગની બહાર વાહનોની લાંબી કતારો લાગી છે. કેટલાક મુસાફરોએ ત્રણ કલાકની અગ્નિપરીક્ષા દરમિયાન પાણી જેવી મૂળભૂત જોગવાઈઓના અભાવની ટીકા કરી હતી.
એરપોર્ટ અધિકારીઓ આજે સાંજે મુસાફરી કરતા કોઈપણ વ્યક્તિને તેમની એરલાઇન સાથે સીધો સંપ4ક કરવા જણાવ્યું છે.














