પોલીસ

એસેક્સના હાર્લોમાં 2012માં ઘરમાં લાગેલી આગમાં ડો. સબાહ ઉસ્માની અને તેમના પાંચ નાના બાળકોના જીવ ગયા બાદ એસેક્સ પોલીસને એક અનામી પત્ર મળ્યો છે જેમાં બનાવની “મહત્વપૂર્ણ વિગતો” અપવામા આવી છે. પત્રના લેખકે પત્રમાં એક દાયકા કરતા વધુ સમય સુધી માહિતી ધરબી રાખવાના પોતાના “દુઃસ્વપ્ન”નું વર્ણન કર્યું છે.

ઓપરેશન શેક્સપિયર હેઠળ નવેસરથી તપાસનું નેતૃત્વ કરતા ડિટેક્ટીવ ચીફ ઇન્સ્પેક્ટર લુઇસ મેટકાફે લાંબા સમયથી ગુપ્ત રહસ્ય ધરાવતા કેસ બાબતે આ પત્રના લેખકને પોલીસનો સંપર્ક કરવા સીધી અપીલ કરી છે.

DCI મેટકાફે પત્ર લેખકને અપીલ કરતાં જણાવ્યું હતું કે “અમારું માનવું છે કે તમારી પાસે ઘણી માહિતી છે જેની અમે 13 વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ. અમે તમારા ડરને સમજીએ છીએ, પરંતુ અમે તમને ખાતરી આપીએ છીએ કે તમારી સાથે અત્યંત સંવેદનશીલતાથી વ્યવહાર કરવામાં આવશે. શકુર પરિવાર ઘણા લાંબા સમયથી જવાબો વિના જીવી રહ્યો છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2012માં, વહેલી સવારે શકુર પરિવારના ઘરમાં આગ લાગી હતી. જેમાં બારીમાંથી કૂદકો મારીને ડૉ. અબ્દુલ શકુર એકલા બચી ગયા હતા. તેમણે પત્ની અને પ બાળકોને બચાવવા માટે સખત પ્રયાસ કર્યો હતો.

70 અધિકારીઓ અને 2000 પુરાવાઓ સહિતની વિશાળ તપાસ છતાં, કેસ વર્ષો સુધી ઠંડો રહ્યો હતો. ફોરેન્સિક નમૂનાઓના ખોટા સંચાલન અને કોરોનરના “અનિર્ણાયક” ચુકાદા સહિત પ્રારંભિક અવરોધોએ કેસની પ્રગતિ અટકાવી દીધી હતી. જો કે, પોલીસે હંમેશા આગને શંકાસ્પદ આગ લગાડવાના હુમલા તરીકે ગણી હતી અને જે તે સમયે નજીકમાં સળગતી કાર પણ મળી આવી હતી.

પોલીસ માને છે કે જવાબો સ્થાનિક હાર્લો સમુદાયમાં છે અને પત્રમાં વર્ણવેલ “બોજ”ને ઓળખનારા કોઈપણને મુખ્ય તપાસ ટીમનો સંપર્ક કરવા વિનંતી કરી છે.