ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલે બુધવારે કુલ 12 સભ્યોના ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત કરી હતી. નવા પાર્લામેન્ટ્રી બોર્ડમાં ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના દિગ્ગજોની બાદબાકી કરાઇ છે. પહેલીવાર એવુ બન્યું છે કે, પાર્લામેન્ટ્રી બોર્ડમાં ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખને સ્થાન અપાયુ નથી.

જાતિગત સમીકરણને જોતાં બોર્ડમાં સી આર પાટીલે પટેલોને વધુ પ્રાધાન્ય અપાયું છે. પાંચ પટેલો, એક ઠાકોર, એક કોળી, એક દલિત, એક ક્ષત્રિય અને એક આદિવાસીને બોર્ડને સ્થાન મળ્યું છે.

નવા પાર્લામેન્ટ્રી બોર્ડમાં સામેલ કરાયેલા સભ્યોમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પરષોત્તમ રૂપાલા, આર.સી.ફળદુ, સુરેન્દ્ર પટેલ, જશવંતસિંહ ભાભોર, ભીખુ દલસાણિયા, રાજેશ ચુડાસમા, કાનાજી ઠાકોર, ડો.કિરીટ સોલંકી ઉપરાંત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખનો સમાવેશ કરાયો છે. પાર્લામેન્ટી બોર્ડની નવી ટીમમાં ભરતસિંહ પરમાર , મંગુભાઇ પટેલને કોરાણે મૂકાયા છે. સાથે સાથે શંભુપ્રસાદ ટુંડિયા પણ વેતરાયાં છે. રમણ વોરા અને શંભુપ્રસાદ ટુડિયા વચ્ચે આંતરિક ખટરાગમાં કિરીટ સોલંકી ફાવ્યાં છે.

ભાજપ હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપી રહ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં જ રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ શકે છે. ભાજપે નિરીક્ષકોની નિમણૂંકો કરી છે.