(Photo by Jeff J Mitchell/Getty Images)

ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશના પહેલા જ દિવસે મહત્તમ પારદર્શિતા આપવાનું વચન આપવા સાથે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે ‘’દેશ હવે કોરોનાવાયરસ સામેના યુદ્ધના બીજા તબક્કાની તૈયારી કરી રહ્યો છે અને સરકાર તેની તમામ વિગતો આપશે. આ અઠવાડિયાના અંત સુધીમાં વડાપ્રધાન લોકડાઉન હળવુ કરવા યોજના જાહેર કરાશે અને મોટોભાગે શાળાઓ જૂન મહિના સુધી બંધ રહેશે.

પ્રથમ પગલામાં વાયરસના ફેલાવાને ઘટાડવા માટે કામના સ્થળોએ સામાજિક અંતરનો અમલ કરાવવામાં આવશે અને કર્મચારીઓ નિયમિતપણે તેમના હાથ ધોઈ શકે છે તેની ખાતરી કરાશે. “બિન-આવશ્યક” ચીજોનું વેચાણ કરતી દુકાનોને તેમના ગ્રાહકો બે મીટરનુ અંતર રાખશે તેવી શરત સાથે ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. મિત્રો અને પરિવારના વિશાળ જૂથને નિયમિતરૂપે એકબીજાને મર્યાદિત સંખ્યામાં હળવા મળવાની મંજૂરી મળી શકે છે. પરંતુ તે અજાણ્યા લોકો માટે હશે નહિ.

વડા પ્રધાને બિઝનેસીસને સીધા સંદેશમાં કહ્યું હતું કે ‘’અર્થવ્યવસ્થાને લાંબા ગાળાના નુકસાન અંગે ચિંતા છે પરંતુ હાલના નિયમોનું પાલન કરવું જોઈએ. હું બ્રિટીશ લોકોના પ્રયત્નો અને બલિદાનની સરાહના કરું છું. અમને ખાતરી છે કે રોગચાળાનો પ્રથમ તબક્કો સમાપ્ત થઈ ગયો છે અને અમે પાંચ ટેસ્ટ પૂર્ણ કરી રહ્યા છીએ જેમાં મૃત્યુનો દર નીચે જવો, એનએચએસ સંરક્ષિત છે, ચેપનો દર નીચે છે, ટેસ્ટીંગ અને પી.પી.ઇ.ના પડકારોને પોહંચી વળીએ છીએ અને બીજા શિખરને ટાળી શકીશું. તો પછી તે બીજા તબક્કા તરફ આગળ વધવાનો આપણી પાસે સમય હશે જેમાં આપણે રોગને ડામવા અને વાયરસના પ્રજનન દરને નીચે રાખવાનું ચાલુ રાખી શકીશુ. જેથી આર્થિક અને સામાજિક પ્રતિબંધોને સુધારીને ધીરે ધીરે યુકેની આ વિશાળ અર્થવ્યવસ્થાના એન્જિનોને એક પછી એક શરૂ કરીશું.’’

ખેલાડીઓની નિયમિતપણે ચકાસણી કરવામાં આવે અને સામાજિક-અંતરનાં નિયમોનું પાલન થાય તે શરતે બંધ દરવાજા પાછળ પ્રીમિયર લીગ ફૂટબોલ જેવી રમતો ફરી શરૂ થવાની સંભાવના છે. વિદેશથી આવતા લોકોને 14-દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવાની શરત મૂકવા સહિતના કડક પ્રતિબંધો લાદવામાં આવે તેવી સંભાવના છે.

સરકારે કોરોનાવાયરસ સામે લડતી વખતે મરણ પામેલા ફ્રન્ટલાઈન એનએચએસ અને સોશ્યલ કેર વર્કરના પરિવારોને £60,000 ચૂકવવાનું વચન આપ્યું છે. કેટલીક હોસ્પિટલોમાં કેન્સર અને માનસિક સ્વાસ્થ્યની સારવાર ફરી શરૂ કરાશે. નોન-કોરોનાવાયરસ એનએચએસ વર્કલોડને ફરીથી પ્રારંભ કરવાની ગતિવિધિઓ કરવામાં આવી હતી.

ઇંગ્લેન્ડના ચિફ મેડિકલ ઓફિસર ક્રિસ વિટ્ટીએ અનુમાન લગાવ્યું હતું કે વાયરસનો નિર્માણ દર અથવા આર (રીપ્રોડક્શન) રેટ આશરે 0.75ની નજીકનો અને નિર્ણાયક  1ના સ્તરથી નીચેનો છે. લોકડાઉનના નિયમોમાં દરેક છૂટછાટ તેને અસર કરે છે. જો તમે શાળાઓ ખોલો છે, તો તે આર રેટ વધારવામાં ફાળો આપે છે. આર રેટ 1ની નીચો રહેશે ત્યાં સુધી રોગચાળો કાબુમાં રહે છે. માર્ચ મહિનામાં આર રેટ 3ની નજીક હતો.

બીજી તરફ સોમવારે ફરજ પર હાજર થયેલા વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે ચર્ચિલના પ્રખ્યાત ભાષણ ‘એન્ડ ઑફ ધ બિગીનીંગ’ની ઢબે જણાવ્યુ હતું કે ‘’કોરોનાવાયરસ સામેની લડતનો પહેલો તબક્કો પૂર્ણ થવા આરે છે, આપણે અંતની નજીક છીએ અને સૌએ ધૈર્ય રાખવાનુ છે. યુકે ‘પ્રગતિ’ કરી રહ્યુ છે અને તેના ‘વાસ્તવિક સંકેતો’ નજરે પડી રહ્યા છે. મહત્તમ જોખમની ક્ષણો પણ છે તેથી ‘સામાજિક અંતર’ નિયમોને ત્યજી દેવાની જરૂર નથી, આપણે લોકડાઉન તો રાખવું જ પડશે. એકવાર રોગ નિયંત્રણમાં આવશે પછી આપણે નિયંત્રણ પગલાને ‘રિફાઈન્ડ’ કરી શકીશુ.’’

તેમણે બ્રિટનને પાછુ પાટા પર લાવવા માટે વિપક્ષ અને બિઝનેસ લીડર્સ સાથે ‘ખુલ્લી અને પારદર્શક’ ચર્ચા કરવાનું વચન આપ્યું હતું. કોરોનાવાયરસ લોકડાઉનમાંથી બહાર નીકળવાની વ્યૂહરચના માટેની વધતી જતી માંગણી વચ્ચે તેમણે ચેતવણી આપી હતી કે હવે બીજા શિખરની ચિંતા વચ્ચે રોગચાળાને હળવેથી લેવાનો સમય નથી. એવા પુરાવા મળી રહ્યા છે કે બ્રિટનના લોકો હવે ખુદ રસ્તાઓ પર આવી ગયા છે અને દુકાનો ખુલી રહી છે તેમ જ ટ્રાફિક વધી રહ્યો છે.

જ્હોન્સને તેમની ગેરહાજરીમાં મદદ કરનાર સૌનો આભાર માનતા જણાવ્યુ હતુ કે ‘’હું જાણું છું કે આ વાયરસ દેશભરના ઘરોમાં નવી ઉદાસી અને શોક લાવે છે. યુદ્ધ પછીનો આ સૌથી મોટો અને એકમાત્ર પડકાર છે. જે સમસ્યાઓનો આપણે સામનો કરી રહ્યા છીએ તેને હું કોઈ પણ રીતે ઘટાડતો નથી. તમારી સહિષ્ણુતા, તમારા પરોપકાર, સમુદાયની ભાવના અને સામૂહિક રાષ્ટ્રીય સંકલ્પ માટે આભારી છુ. NHSને ડૂબતા અટકાવવાના પ્રથમ મિશનને પ્રાપ્ત કરવાની આરે છીએ.’’

વડાપ્રધાનને વધતા જતા એલાર્મનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે લોકોની અવરજવર પર નિયંત્રણ કરતા નિયમો ખૂની રોગના ફેલાવાને રોકવામાં સફળ થયા છે પણ બીજી બીજુ તે અર્થતંત્રને ઘૂંટણીએ પાડી રહ્યા છે. રશ અવર દરમિયાન લેવામાં આવેલા ફોટોગ્રાફ્સમાં પેરીવેલ ખાતેના A40, ગ્રીનીચ ખાતેના A102, બ્રિસ્ટલમાં M5 અને વોલ્સોલમાં એમ 6 સહિતના રસ્તાઓ પર વાહનોની કતારો જોવા મળી હતી.

ટોમટોમ મુજબ લંડનમાં સોમવારે સવારે 8 વાગ્યે વાહનોની ભીડ 49 ટકા ઓછી હતી. જો કે, ગયા અઠવાડિયે તે 2019ની સરેરાશમાં ટ્રાફીક 50 ટકાથી નીચે હતો. રેલ મુસાફરીમાં પણ વધારો થયો છે અને એપલના ડેટા મુજબ વાહનો અને રાહદારીઓના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે.

અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી કે યુકેને તેની ગુમાવેલી આર્થીક સધ્ધરતા પરત મેળવવામાં વર્ષોનો સમય લાગશે અને કરદાતાઓને દાયકાઓ સુધી સરકારના બેલઆઉટના નાણાં ટેક્સરૂપે ભરવા પડશે. બીજી તરફ રોગચાળાના વ્યાપને રોકવા સરકાર પોર્ટ્સ અને વિમાનમથકો પર વિદેશથી આવતા લોકોને 14-દિવસના ક્વોરેન્ટાઇન પર મોકલી શકે છે. ટોચના વૈજ્ઞાનિક પ્રોફેસર નીલ ફર્ગ્યુસને યુવાનોને સામાન્ય જીવન ફરી શરૂ કરવાની મંજૂરી આપવાના વિચારને અસ્પષ્ટ જણાવી ચેતવણી આપી હતી કે તેનાથી બ્રિટનમાં 100,000 લોકો મૃત્યુ પામશે.