પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અંબાજી દર્શન કરવા જઈ રહેલા અમદાવાદના એક પરિવારની કારને ખેરાલુ પાસે અકસ્માત થતાં બે કિશોરી અને એક વૃદ્ધા ભડથું થઈ ગયાં હતાં. આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે કારમાં દંપતીનો બચાવ થયો હતો, પરંતુ તેઓ અકસ્માતને કારણે આગથી દાઝી ગયાં હતાં. તેમને ખેરાલુની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

અમદાવાદ રહેતા પરિવાર શુક્રવારની સવારે અંબાજી દર્શનાર્થે જઈ રહ્યો હતો ત્યારે અગમ્ય કારણોસર CNG કિટવાળી કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. કાર ઝાડને અથડાયા બાદ એકાએક કારમાં આગ ફાટી નીકળી હતી, જેમાં બે યુવતી અને તેમનાં દાદી બળીને ભડથું થઈ ગયાં હતાં.
અકસ્માત બાદ પોલીસને ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને કંટ્રોલ કરવો પડ્યો હતો. દાદી અને બે પૌત્રી બળી જવાથી તેમનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં.