ધર્મમાં દરેક વ્રત, તહેવાર અંગે તેનું ધાર્મિક મહત્વ સમજાવવા હેતુ ધાર્મિક વાત પણ ભક્તિ ભાવ પણ વધારે છે જે અંગે ધાર્મિક ગ્રંથો, સાહિત્ય, અને વિદ્વાનો પાસેથી સારી જાણકારી મળતી હોય છે, આપણે વ્રત વિવિધ પ્રકારના અને અલગ અલગ સંકલ્પ કે કોઈ ફળ પ્રાપ્તિ હેતુ કરતા હોઈએ છીએ જેવી રીતે સોમવારનું વ્રત, ગુરુવારનું વ્રત, ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત, અગિયારસ, પ્રદોષ, સંક્રાંતિ વગેરે, દરેક વ્રત પાછળ વ્રત કરવાની કથા પણ આપણને ભક્તિ ભાવ વધારવા અને વ્રત વિષે માહિતી મળતી હોય છે, અને ભક્તો અને વિદ્વાનો પણ પોતાના ભાવ દ્વારા કહેતા હોય છે કે જો ભગવાનની ઈચ્છા હોય ને તો તમે વ્રત કરી શકો એટલે આટલી હદે ઈશ્વર પ્રત્યેની ભાવના.

ચાતુર્માસ એટલે ચાર માસ દરમિયાન ભગવાનની ભક્તિ પણ જો આ ચાર માસ દરમિયાન અધિક માસ આવે તો પાંચ માસની ભક્તિ થાય છે જે અષાઢ સુદ અગિયારસ એટલે દેવ પોઢી અગિયારથી કારતક સુદ અગિયારસ એટલે દેવ ઉઠી અગિયાસ સુધીના દિવસો જેમાં ગુરુ પૂર્ણિમા, રક્ષા બંધન, શ્રાવણ વદ માસની બોર ચોથ, નાગ પંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી, નોમ વગેરે જેવા પર્વ ઉપરાંત ભાદરવા માસમાં કેવડા ત્રીજ, સામાં પાંચમ, અને આસો માસમાં નવરાત્રી, શરદ પૂનમ તેમજ દિવાળીના તહેવાર દિન, કારતક માસમાં લાભ પાંચમ વગેરે પર્વ, વ્રત, તહેવાર ખૂબ શ્રદ્ધા પૂર્વક કરવામાં આવે છે.

ચાતુર્માસ પાછળ એક ધાર્મિક વાત જાણવા મળે છે કે એક વાર ધર્મરાજ યુધિષ્ઠિર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ ચાતુર્માસ કેમ કરાય છે, કેવી રીતે કરાય છે અને તેનું ફળ શું છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે અષાઢ સુદ અગિયારસના દિવસે શ્રી હરિ વિષ્ણુ શયન કરે છે ત્યારે ભગવાન શ્રી વિષ્ણુની કૃપાદ્રષ્ટિ તમારા પર રહે તે હેતુથી તેમની પ્રતિમાની સ્થાપના વિધિવત કરી દરરોજ પૂજા, ધૂપ, દિપ, નૈવેદ્ય, અને જાપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે, જે લોકો ભગવાન શ્રીવિષ્ણુ અને પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે તેને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે, જે ભક્ત મંદિરમાં કોઈ સેવા આપે તો સાત જન્મ સુધી ઉચ્ચ યોની કે કુળમાં જન્મ મળે છે તેમજ જો પંચામૃત વડે વિષ્ણુ ભગવાનની પ્રતિમાને સ્નાન કરવી સ્વચ્છ જળ વડે અભિષેક કરે અને વસ્ત્ર અર્પણ કરે તો તેને સાત જન્મ સુધી ધન વૈભવનું સુખ મળે છે, તુલસી પત્ર અર્પણ કરતી વખતે મંત્ર જાપ કરે તો તેમના જીવન ની સદગતિ થાય અને પોતાની મનોકામના પુરી થાય, ધૂપ, દીપ અર્પણ કરી જાપ કરે તો તેને કોઈપણ પ્રકારની દરિદ્રતા આવતી નથી, જો કોઈ માર્ગદર્શન મુજબ દીપદાન કરે તો જીવન ના દરેક સુખની પ્રાપ્તિ થાય છે, ધાર્મિક ગ્રંથનું વાંચન કરે તો જ્ઞાન અને ધનની પ્રાપ્તિ થાય છે,
ચાતુર્માસની વિધિવત પૂજા કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાદ્રષ્ટિ રહે છે અને ભક્તોને વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે.

-જ્યોતિષાચાર્ય ડો. હેમિલ પી. લાઠીયા

LEAVE A REPLY

10 + 9 =