ભારતમાં આશરે 23 વર્ષ પછી ચેસ વર્લ્ડકપ યોજાશે. આ વર્ષે 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી ભારતમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરાશે અને આ સ્પર્ધા માટે યજમાન શહેરની જાહેરાત યોગ્ય સમયે કરાશે. 29 દિવસની આ ટુર્નામેન્ટ અમદાવાદ કે ગોવામાં યોજાય તેવી પ્રબળ શક્યતા છે.
ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF)એ 23 વર્ષના અંતરાલ પછી વર્લ્ડ કપનું આયોજન કરવાની બિડ જીતી હતી, પરંતુ અધિકારીઓ વચ્ચેના આંતરિક ઝઘડાને કારણે શહેરની જાહેરાતમાં વિલંબ થયો હતો.
ફિડેના સીઇઓ એમિલ સુતોવસ્કીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “અમે ભારતમાં ફિડે વર્લ્ડ કપ 2025નું આયોજન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.
આ ટુર્નામેન્ટમાં 206 ખેલાડીઓ પ્રતિષ્ઠિત ટાઈટલ અને 2026 ફિડે કેન્ડિડેટ્સ ટુનામેન્ટના ક્વોલિફિકેશન સ્થાન માટે સ્પર્ધા કરશે. ભારતે છેલ્લે 2002માં હૈદરાબાદમાં આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. તે સમયે વિશ્વનાથન આનંદે ટાઇટલ જીત્યું હતું. આગામી સ્પર્ધામાં ખેલાડીઓ નોકઆઉટ ફોર્મેટમાં સ્પર્ધા કરશે જ્યાં દરેક રાઉન્ડમાં હારનાર ખેલાડી બહાર થઈ જશે.
ફિડેએ જણાવ્યું હતું કે વર્લ્ડ કપમાં ટોચના ત્રણ સ્થાન મેળવનારા ખેલાડીઓ સીધા 2026 કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થશે. વર્તમાન વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશ, વર્લ્ડ કપ 2023 રનર-અપ આર પ્રજ્ઞાનાનંદ અને અર્જુન એરિગાસી તે સ્ટાર ખેલાડીઓમાં સામેલ છે જેઓ આ સ્પર્ધામાં ભાગ લેશે.
