La Voz de Amazonia/Mare Rafue/Handout via REUTERS

કોલંબિયાનું એક મિલિટરી વિમાન સોમવારે ક્રેશ થતાં ઓછામાં ઓછા 66 લોકોના મોત થયાં હતાં અને ચાર લોકો લાપતા બન્યાં હતાં. લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત હર્ક્યુલસ C-130 પરિવહન વિમાનમાં 128 લોકો સવાર હતાં, જેમાં 11 વાયુસેનાના સભ્યો, 115 સૈનિકો અને બે રાષ્ટ્રીય પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. બચાવકર્તાઓએ ડઝનેક બચી ગયેલા લોકોને નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા હતાં.

એવું માનવામાં આવે છે કે વિમાન ઉડાન ભરી રહ્યું હતું ત્યારે રનવેના છેડા પાસે અકસ્માત થયો હતો અને વિમાનની એક પાંખ પાછળથી ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. આ દુર્ઘટનાને કારણે વિમાનમાં આગ લાગી અને તેમાં રહેલા કેટલાક વિસ્ફોટક ઉપકરણોમાં વિસ્ફોટ થયો હતો. લોકહીડ માર્ટિનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની આ ઘટનાની તપાસમાં કોલંબિયાને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ અકસ્માત પેરૂની સરહદ પાસે આવેલા પ્યુર્ટો લેગુઝામો નજીક સર્જાયો હતો. દુર્ઘટના સ્થળ રહેણાંક વિસ્તારથી માત્ર 3 કિલોમીટર દૂર હતું. C-130 હર્ક્યુલસ વિમાન 1950ના દાયકાથી વિશ્વભરમાં સૈન્ય પરિવહનનો મહત્વનો હિસ્સો રહ્યું છે. કોલંબિયા 1960ના દાયકાથી આ વિમાનોનો ઉપયોગ કરી રહ્યું છે. જોકે, સમયાંતરે તેને અપગ્રેડ કરવામાં આવ્યા છે, પરંતુ જૂના થતા સૈન્ય સાધનો અને વિમાનોની સુરક્ષા હવે ચિંતાનો વિષય બની છે. કોલંબિયાના પ્રેસિડન્ટ ગુસ્તાવો પેટ્રોએ આ દુર્ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી .