Comedian Raju Srivastava
(ANI Photo)

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને બુધવારે આવેલા હાર્ટ અટેક બાદ તેમની હાલત નાજુક બની હતી. રાજુ શ્રીવાસ્તવ હજી પણ વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિમાં સુધારો થયો નથી. મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલે લખવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાજુ શ્રીવાસ્તવની પત્ની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. રાજુ શ્રીવાસ્તવ હાલ દિલ્હી AIIMSમાં સારવાર હેઠળ છે

રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 46 કલાકથી ભાનમાં નથી આવ્યા અને ડૉક્ટરોનું કહેવું છે કે, તેમનું બ્રેન ડેમેજ થયું છે. 59 વર્ષીય સ્ટેન્ડઅપ કોમેડિયન-એક્ટર રાજુ શ્રીવાસ્તવને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી નોંધનીય છે કે, તેઓ સાઉથ દિલ્હીના કલ્ટ જિમમાં ટ્રેડમિલ પર એક્સર્સાઈઝ કરી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ અટેક આવ્યો હતો.

રાજુ શ્રીવાસ્તવે ‘મેંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોમ્બે ટુ ગોવા’ અને ‘આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા’ સહિત કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ સિવાય પોપ્યુલર રિયાલિટી શો ‘બિગ બોસ’માં પણ ભાગ લઈ ચૂક્યા છે. ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં રાજુ શ્રીવાસ્તવની કોમેડી જોઈને જ લોકો તેમના ચાહક બન્યા હતા. છેલ્લે તેઓ બે અઠવાડિયા પહેલા ‘ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન’માં જોવા મળ્યા હતા.