કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં 13મે ભવ્ય વિજય પછી પાંચ દિવસની ભારે ખેંચતાણ બાદ કોંગ્રેસે સિદ્ધારમૈયાને મુખ્યપ્રધાન અને શિવકુમારને ડેપ્યુટી મુખ્યપ્રધાન બનાવવાની ગુરુવારે જાહેરાત કરી હતી. રાજ્યમાં મુખ્યપ્રધાનની ખુરશી માટે આ બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે ભારે ખેંચતાણ થઈ હતી અને તેનાથી કોંગ્રેસ માટે મુખ્યપ્રધાન નક્કી કરવાનું મુશ્કેલ બન્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી વચ્ચેની બેઠક બાદ અડધી મુખ્યપ્રધાનનું નામ ફાઈનલ થયું હતું. શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બેંગલુરુમાં યોજાશે. પાર્ટીએ ગુરુવારે સાંજે 7 વાગ્યે બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી.
બુધવારે મોડી સાંજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગ બેઠકમાં આ મુદ્દાનો ઉકેલ આવ્યો હતો. આ બેઠકમાં AICCના મહાસચિવ કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા પણ હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકની માહિતી સિદ્ધારમૈયા અને શિવકુમારને આપવામાં આવી હતી. બુધવાર સાંજ સુધી નિર્ણય લેવામાં સમય લાગશે તેમ લાગતું હતું.














