કોરોના વાયરસનો પ્રકોપ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. દેશમાં છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી લોકડાઉન લાગુ હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો દોઢ લાખની પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શનિવારે સવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 173763 સુધી પહોંચી ગયા છે.

જોકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી દર 47 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 11264 લોકો સ્વસ્થ્ય થયા છે. જે સ્વસ્થ્ય થનારા લોકોનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ આ આંકડો વધીને 82369 સુધી પહોંચી ગયો છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 265 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 4971 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શુક્રવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 82370 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 62228 કેસ નોંધાયા છે જ્યારે 2098 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 20246 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 154 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 17386 કેસ નોંધાયા છે જ્યારે 316 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 169011 લોકો સંક્રમણમાં આવ્યા છે જેમાંથી 980 લોકોના મોત થયા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 5930035 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 3069645 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 2495388 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 365002 કેસ એક્ટિવ છે. ભારત દેશમાં સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં નવમાં ક્રમાંક પર પહોંચી ગયો છે. જ્યારે સ્વસ્થ્ય થયેલા દર્દીઓની યાદીમાં ભારત અમેરિકા, બ્રાઝીલ, જર્મની, રશિયા, ઈટાલી, સ્પેન, તુર્કી, ઈરાન બાદ 10માં ક્રમ પર છે.