ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વન-ડે અને ટી20 ક્રિકેટમાં સ્ટોપ ક્લોકના નિયમને કાયમી ધોરણે અમલમાં મુકવાનું નક્કી કર્યું છે. આ નિયમ અત્યારે હંગામી ધોરણે અમલમાં છે તેને મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024થી કાયમી ધોરણે લાગુ કરાશે. ઉલ્લેખનીય છે કે, આઈસીસી દ્વારા ડિસેમ્બર 2023માં પ્રથમવાર સ્ટોપ ક્લોકના નિયમનો અમલ કરવામાં આવ્યો હતો અને હવે આઈસીસીના તમામ સભ્ય દેશો માટે વન-ડે અને ટી20 મેચમાં તેનો કાયમી અમલ કરાશે. આઈસીસીએ વાર્ષિક બોર્ડ બેઠક પછી એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જૂન 2024થી તમામ વન-ડે અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સ્ટોપ ક્લોકનો નિમય અમલમાં આવશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપથી તેનો સત્તાવાર અમલ શરૂ કરાશે.

સ્ટોપ ક્લોકને લીધે પ્રતિ વન-ડેમાં 20 મિનિટ બચે છે. આ નિયમ મુજબ ફિલ્ડિંગ કરતી ટીમે આગળની ઓવર પૂર્ણ થયાની 60 સેકન્ડમાં (એક મિનિટ) બીજી ઓવર ફેંકવાની શરૂઆત કરવી પડશે. મેદાન પર 60 સેકન્ડથી શૂન્ય સુધી ગણતરી દર્શાવતી ઘડિયાળ મૂકાશે અને થર્ડ અમ્પાયર તેનું સંચાલન કરી શકશે. ફિલ્ડિંગ કરતી ટીમને નિર્ધારિત સમયમાં બીજી ઓવર શરૂ કરવી પડશે. જો તેમ કરવામાં તે નિષ્ફળ જશે તો તેને બે વખત ચેતવણી મળશે અને ત્રીજી વખત નિયમ ભંગ બદલ પ્રત્યેક ઓવરના વિલંબ બદલ પાંચ રનની પેનલ્ટી ફટકારાશે. આઈસીસીએ નિયમમાં કેટલીક છૂટ પણ આપી છે. આ છૂટમાં નવો બેટ્સમેન બે ઓવરની વચ્ચે મેદાનમાં ઉતરે છે તે, ડ્રિન્ક્સ બ્રેક, બેટ્સમેન અથવા ફિલ્ડરને ઈજા થતા મેદાનમાં આપવી પડતી સારવારનો સમવાશે કરાયો છે. આઈસીસીએ બેઠકમાં ટી20 વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચો (27 જૂન) અને ફાઈનલ (29 જૂન)માં રીઝર્વ ડે રાખવા માટે મંજૂરી આપી છે.

LEAVE A REPLY

two × four =