એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાનના રવિવાર, 14 નવેમ્બરના દુબઈ ખાતેના મુકાબલા પહેલા ભારતમાં કેટલાંક વર્ગો દ્વારા આ મેચનો બહિષ્કાર કરવાનું એલાન કરવામાં આવ્યું છે. ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ વખતે હંમેશા ચાહકોમાં ઊંચા ઉત્સાહ જોવા મળ્યો છે, જોકે મે મહિનામાં પડોશીઓ વચ્ચે ચાર દિવસીય લશ્કરી સંઘર્ષ થયાના મહિનાઓ પછી આ મુકાબલો થઈ રહ્યો હોવાથી ભારતમાં તીવ્ર પ્રતિક્રિયા આવી રહી છે. ભારતીય સમય મુજબ મેચનો પ્રારંભ સાંજે 8 વાગ્યે થશે.
પહેલગામમાં આતંકવાદી હુમલાના કારણે સમગ્ર ભારતમાં લોકો પાકિસ્તાન સામે ક્રિકેટ મેચનો તીવ્ર વિરોધ કરીને તેનો બહિષ્કાર કરવાનું એલાન આપી રહ્યાં છે. ઘણા ક્રિકેટ ચાહકોએ સ્ટેડિયમ જ નહીં ટેલિવિઝન પર પણ ભારત-પાકિસ્તાન મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જનતાના આ બહિષ્કાર અને આક્રોશ વચ્ચે વચ્ચે મેચ રમાશે. આ પરિસ્થિતિ વચ્ચે મેચની સંપૂર્ણ ટિકિટો ન વેચાઈ હોવાના અને ટિકિટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યા હોવાના પણ અહેવાલ મળ્યાં હતાં.
અનેક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કમેન્ટેટર જ નહીં, બીસીસીઆઈના અધિકારીઓ પણ આ મેચના બહિષ્કારમાં જોડાયા છે. સોશિયલ મીડિયા પર લાખો લોકોએ એશિયા કપનો બહિષ્કાર કર્યો હોવાની જાહેરાત કરી હતી.
આ મેચ માટે વિરોધ પક્ષો પણ સરકારની આકરી ટીકા કરી રહ્યાં છે. જોકે ભાજપ સાંસદ અને ભૂતપૂર્વ સ્પોર્ટ્સ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, ભારતે પાકિસ્તાન સામે દ્વિ-પક્ષીય ટુર્નામેન્ટનો બહિષ્કાર કર્યો છે અને તે ચાલુ જ રહેશે. પરંતુ ભારત બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો વિરોધ કરી શકે તેમ નથી. આ પ્રકારની મેચોમાં ભારતની ભાગીદારી તેની કુટનીતિક અને રાષ્ટ્રીય નીતિઓના બદલે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના નિયમો મુજબ છે. પહલગામમાં આતંકી હુમલાનો ભોગ બનનાર શુભમ દ્વિવેદીની પત્ની એશાન્યા દ્વિવેદીએ ભારત-પાકિસ્તાન મેચ સામે વાંધો ઉઠાવીને જણાવ્યું હતું કે પાકિસ્તાન આ મેચથી થનારી કમાણીનો ઉપયોગ આતંકીઓ પર કરશે અને આ આતંકીઓ ફરી ભારત પર હુમલો કરશે.
બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો વર્ષોથી સ્થગિત છે, અને કટ્ટર હરીફો હવે ફક્ત બહુ-રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે.ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાનના સમકક્ષ સલમાન આગાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઇચ્છે છે કે તેમની ટીમો સખત મહેનત કરે.
